મોરબીના PSI બોલીવૂડમાં એન્ટ્રી : ફિલ્મ જ્ઞાનવાપી ફાઇલ્સમાં જોવા મળશે, જાણો શું છે રોલ અને ક્યારે રીલીઝ થશે ફિલ્મ
ખાખી માત્ર ગુન્હેગારો ઉપર જ ધાક જમાવે છે તેવું નથી મોકો મળે તો સારો અભિનય પણ કરી શકે છે. મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા PSI અરૂણકુમાર મિશ્રાએ પણ કંઈક આવું જ કરી બતાવી ગુજરાત પોલીસને ગૌરવ અપાવ્યું છે. બોલીવુડની જ્ઞાનવાપી ફાઈલ્સ મુવીમાં મોરબીના PSIએ મહત્વનું પાત્ર ભજવ્યું છે. આ મુવી આગામી 27 જૂને દિવસોમાં રિલીઝ થશે.
ત્રણ વર્ષ પહેલાં 28 જૂન 2022 ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં, નુપુર શર્માના નિવેદનના વિવાદમાં દરજી કન્હેયાલાલ સાહુની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસ પર “જ્ઞાનવાપી ફાઈલ્સઃ આ ટેલર મર્ડર સ્ટોરી’ નામની ફિલ્મ રિલાયન્સ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણએ તારણ કાઢ્યું છે કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સ્થળ પર હાલના વિવાદિત માળખાના નિર્માણ પહેલા એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું.

મોરબીના PSIએ ફિલ્મમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટરનો રોલ નિભાવ્યો
આ મુવીમાં આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટરની ભૂમિકા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI અરૂણકુમાર મિશ્રાએ નિભાવી છે. અરૂણકુમાર મિશ્રાની પર્સનાલિટી હીરો માફક છે અને તેઓની એક્ટિંગ કળા પણ અભૂતપૂર્વ છે. જેના થકી તેઓએ ફિલમાં તેમના પાત્રને ચાર ચાંદ લગાવી દીધા છે.
PSI અરૂણકુમાર મિશ્રાએ કહે છે કે, હું આ મુવીમાં આર્કોલોજીક સર્વે ઓફ ઈન્ડીયાના ડાયરેકટરની ભૂમિકા ભજવું છું. જ્ઞાનવાપી કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારે સુપ્રીમે તપાસના આદેશ આપ્યા હતા. આ વેળાએ તેઓએ મસ્જિદમાં જઈ તપાસ કરી હતી. જેમાં મંદિરના અવશેષો મળ્યા હતા. તેઓએ આ રિપોર્ટ સુપ્રિમને આપે છે. તેમનું પાત્ર મુવીમાં આટલી ભૂમિકા ભજવે છે. તેઓએ જણાવ્યું કે આ મુવી 27 જૂને રિલીઝ થવાની છે. જેને લઈને તેઓ આતુર છે.

વર્દીની મર્યાદા જળવાય રહે તેવા રોલ જ કરીશ
PSI અરૂણકુમાર મિશ્રા જણાવે છે કે જે મુવી સમાજમાં સારો સંદેશ આપે છે તેવા મુવીનો હિસ્સો બનવામાં પોલીસ વિભાગ ખૂબ સહયોગ આપે છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે તેઓ પોતાની નોકરીની જવાબદારી નિભાવવાની સાથે તેઓ ભવિષ્યમાં સારા મુવીમાં કામ કરશે. કારણકે યુથ અત્યારે મુવી એને સોશિયલ મીડિયાના વિડિયો ઉપરથી વધુ પ્રેરણા લ્યે છે. એટલે આવા માધ્યમો થકી સારો મેસેજ આપવાનો અવસર મળે તો શું કામ ચૂકવો જોઈએ. અંતમાં તેઓએ કહ્યું કે જો ભવિષ્યમાં ફરી મુવીમાં કામ કરવાની તક મળે તો વર્દીની મર્યાદા જળવાય રહે તેવા જ રોલ કરીશ.
PSI મિશ્રા યુથ ફિટનેસ વિશે જાગૃત બને તે માટે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ
PSI અરૂણકુમાર મિશ્રા જણાવે છે કે તેઓને કોઈ વ્યસન નથી. તેઓ ફાસ્ટફૂડ તેમજ બહારના ભોજનથી દુર જ રહે છે. તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તેમના પ્રેરણાસ્ત્રોત છે. તેમને સંદેશ આપ્યો છે કે ‘ફિટ રહેગા ઇન્ડિયા તો આગે બઢેગા ઈન્ડિયા’. વધુમાં તેઓએ ઉમેર્યું કે આપણું શરીર જ સૌથી મોટી મિલકત છે. તેની દરકાર લેવી જ જોઈએ. તેઓ દરરોજ સવારે 5 કિમિ રનિંગ કરે છે. દરરોજ અઢીથી ત્રણ કલાક તેઓ ફિટનેસ માટે આપે છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી યુથ પણ ફિટનેસને લઈને જાગૃત થાય તેવા પ્રયાસ કરે છે.
અરૂણકુમાર મિશ્રા અગાઉ પણ ગુજરાતી મુવી ‘જગત’માં ચમક્યા હતા

પીએસઆઇ અરૂણકુમાર મિશ્રાએ અગાઉ ગુજરાતી મુવી ‘જગત’માં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ મુવી ચાઈલ્ડ ટ્રાફિકિગ ઉપર હતું. સમાજમાં સારો મેસેજ પહોંચાડે તેવી આ મુવી હતી. આ મુવીનું ઘણું શૂટિંગ કરાઈ પોલીસ એકેડમિમાં થયું હતું. આ શૂટિંગ વેળાએ રાજ્યના પોલીસ વડાએ પણ હાજરી આપી બધાને પ્રોત્સાહન પુરુ પાડયું હતું.