ઇઝરાયેલ ની સેના ગાઝા સ્ટ્રીપ માં પ્રવેશ કરી ચૂકી છે. શુક્રવારે રાત્રે ઇઝરાયેલની સેનાએ હમાસના અનેક મહત્વના થાણા, શસ્ત્રાગાર તેમજ છુપાવાના સ્થળો ઉપર પ્રથમ વખત ગાઝામાં પ્રવેશ કરીને રેડ કરી હતી. બીજી તરફ શનિવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ગાઝાના 11લાખ લોકોને સલામત સ્થળે દક્ષિણ તરફ ચાલ્યા જવાની ઇઝરાયલે સૂચના આપ્યા બાદ હજારો લોકોની હિજરત શરૂ થઈ હતી. એ પહેલા ઇઝરાયેલી વાયુ સેના દ્વારા પત્રિકાઓ વરસાવીને ગાઝાના લોકોને પોતાના અને પોતાના પરિવારજનોના જીવની કિંમત હોય તો ઉત્તર ગાઝા છોડી દેવા માટે વધુ એક વખત ચેતવણી આપવામાં આવી હતી. હમાસે લોકોને પોતાના ઘરમાં જ રહેવા, સ્થળાંતર ન કરવા અને લડી લેવા માટે આહવન કર્યું હતું પરંતુ છેલ્લા સાત સાત દિવસથી યાતના ભોગવતા હજારો લોકો હાથ લાગ્યું વાહન અથવા તો પગપાળા દક્ષિણ તરફ ભાગવા લાગ્યા હતા.
આ તો હજી શરૂઆત છે પૂરી તાકાત લગાવશું: નેતન્યાહુ
ઇઝરાયેલ સેનાના ગાઝા સ્ટ્રીપમાં પ્રવેશ પૂર્વે વડાપ્રધાન બેન્જામિન નેટન્યાહુએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું હતું કે
યહૂદીઓ ઉપર થયેલા ભયંકર અત્યાચાર બદલ દુશ્મનોને આપણે ક્યારેય માફ નહીં કરીએ. બદલો લેવા માટે આપણે અમર્યાદ તાકાત લગાવી દેશું. તેમણે કહ્યું કે દુશ્મનો એ કિંમત ચૂકવવાની હજુ તો શરૂઆત કરી છે. આગળ હવે શું થશે એ હું અહીંથી જાહેર નથી કરતો પણ એટલું કહું છું કે આ તો હજુ શરૂઆત છે.
તબીબો એ કહ્યું અમે ગાઝા નહીં છોડીએ
ગાઝાની હોસ્પિટલોમાં હજારો ઘાયલો સારવાર હેઠળ છે તેમ છતાં ઇઝરાયલે કેદીઓ સહિત તબીબોને હોસ્પિટલ છોડી જવાની ચેતવણી આપી હતી. એ સંદર્ભે બોલતા યુનાઇટેડ નેશનના એઇડ ચીફ માર્ટિન ગ્રિફિથે કહ્યું કે 11લાખ લોકોનું કે ઘાયલ દર્દીઓનું સ્થળાંતર કોઈપણ સંજોગોમાં શક્ય નથી. પેલેસ્ટાઇન રેડ પ્રેસન્ટ ના વડાએ કહ્યું કે અમે હોસ્પિટલ ખાલી નહીં કરીએ. અમારા તબીબો પોતાની ફરજ ચાલુ રાખશે. ઘાયલોને અને દર્દીઓને અમે મરવા માટે છોડી શકીએ નહીં. ઇન્ટરનેશનલ મેડિકલ ગ્રુપ ‘ડોક્ટર્સ વિધઆઉટ ડોક્ટર્સ ‘ના પ્રવક્તાએ પણ કહ્યું કે ઇઝરાયલે બે કલાકમાં હોસ્પિટલ ખાલી કરવાનો આદેશ કર્યો હતો પણ અમે અમારી સેવા ચાલુ રાખશું. તેમણે કહ્યું કે આ માનવતાનો સવાલ છે. તબીબોની ફરજ છે કે દર્દીની જિંદગી બચાવવા માટે છેલ્લે સુધી પ્રયત્નો કરવા અને અમે અમારી ફરજ ચૂકી શકીએ નહીં.
હિજરતી કાફલા પર હુમલામાં 70 ના મોત
ગાઝા પટ્ટી ખાલી કરી દેવાની ઇઝરાયેલની ચેતવણી બાદ લોકોમાં ભારે ગભરાટ હતો. હજારો લોકો નાના બાળકો અને લઈ શકાય એટલો જીવન જરૂરિયાતનો સામાન લઈ અને ભાગવા લાગ્યા હતા. એ દરમિયાન હિજરતીઓને લઈ જતા વાહનોના કાફલા ઉપર ઇઝરાયેલી બોમ્બ ફેકાતા 70 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં મોટાભાગના માસુમ બાળકો અને મહિલાઓ હોવાનું ગાઝાના પ્રવક્તાએ જણાવ્યું હતું.