રાજકોટના તોલમાપ અધિકારીના તોડકાંડમાં ગાંધીનગરથી થશે તપાસ : જિલ્લા કલેકટરે રિપોર્ટ કર્યા બાદ તપાસનો ધમધમાટ
રાજકોટના મિક્સર ગ્રાઈન્ડર સહિતની ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુના ઉત્પાદક પાસેથી કાનૂની તોલમાપ વિભાગના અધિકારીએ કરેલા રૂપિયા 25,000ના તોડકાંડમાં જિલ્લા કલેકટરે ગાંધીનગર તોલમાપ વિભાગમાં કરેલા રિપોર્ટને પગલે ગાંધીનગરની ટિમો રાજકોટ ખાતે તપાસ અંતે દોડી આવી હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેકટરે સમગ્ર મામલે આકરા પગલાં લેવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા.

રાજકોટ તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌધરીએ મિક્સર ગ્રાઈન્ડર સહિતની ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુના ઉત્પાદક હરિસિંગ સુચરીયા પાસેથી 25000ની લાંચ લીધી હોવાના આક્ષેપ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા આ મામલે જિલ્લા કલેક્ટરે પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, તોલમાપ વિભાગના અધિકારી સામે થયેલા આક્ષેપો અંગે ગાંધીનગર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેને પગલે ગાંધીનગરથી તપાસ માટેની ટીમ રાજકોટ આવી હોવાનું અને તોલમાપ વિભાગના કાર્યાલય ખાતે જરૂરી દસ્તાવેજોની ચકાસણી સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટના સ્કૂલ સંચાલકોની વ્યાપારી વૃત્તિનો વિરોધ યથાવત : કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને રજૂઆત માટેનો સમય માંગ્યો
વધુમાં ગાંધીનગરની તપાસ ટીમ દ્વારા લાંચના આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હોવાનું ઉમેરી તેમને જણાવ્યું હતું કે,આ બાબત ખૂબ જ ગંભીર છે. જો આક્ષેપો સાબિત થશે તો તોલમાપ વિભાગના નિયંત્રણ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટાચારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે અને સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.