દ્વારકા જવાના હોય તો ખાસ વાંચજો : જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
ગુજરાતમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ એટલે દ્વારકા જે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દ્વારકાધીશના મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં હિન્દુ ધાર્મિક કાર્યકર્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે પૂર્ણિમાનો અવસર છે. આ પૂનમનો અવસર એટલા માટે પણ ખાસ છે કારણેકે આ દિવસે વૈષ્ણવ મંદિરોમાં ભગવાનનો જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા યોજાય છે ત્યારે આવતીકાલે 11 જૂનના રોજ જગતમંદિરે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા આવતીકાલે યોજાશે. જેને અનુસંધાને દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
જો તમે પણ આવતીકાલે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા માટે તેમના આશીર્વાદ મેળવવા માટે દ્વારકા જવાના હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો. પૂનમના દિવસે (11મી જૂન) જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે અને સવારે 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે.

જ્યેષ્ઠાભિષેક ઉત્સવ વિશેષ મહત્ત્વ
વર્ષમાં માત્ર બે વખત જ શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરવાય છે. જે પૈકી એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. આ દરમિયાન સવારે જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શન યોજાતા હોય છે. ત્યારે આ બાબતે દ્વારકા મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જય દ્વારકાધીશ સાથે સર્વે વૈષ્ણવોને જણાવવાનું કે, આગામી તારીખ 11/06/2025ને બુધવાર માહે જેઠ સુદ-15(પૂનમ)ના દિવસે જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા ઉત્સવને અનુલક્ષીને શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે. તો સર્વે વૈષ્ણવોએ દર્શનનો લાભ લેવા વિનંતી છે.

- સવારે 06:00 વાગ્યે મંગલા આરતી
- સવારે 06:00થી 08:00 સુધી મંગલા દર્શન
- સવારે 08:00 થી 09:00 સુધી શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન
- સવારના અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ
- બપોરે 01:00થી 05:00 સુધી અનોસર(દર્શન બંધ)
- સાંજે 05:00 વાગ્યે ઉત્થાપન દર્શન
- સાંજે 05:00થી 09:30 સુધી જલયાત્રા ઉત્સવ અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ
- રાત્રે 09:30 વાગ્યે અનોસર(દર્શન બંધ)