સૌરાષ્ટ્રમ ગુજરાતમા વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને તમામ સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે આ વર્ષે ૨૩થી ૨૫ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૨૩મી જૂનથી ૧૧ તાલુકાની ૮૦૦થી વધુ શાળાઓમાં ત્રિ-દિવસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. સહિતના વરીષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તરફથી મળતી માહિતી મુજબ, આ વર્ષે જિલ્લામાં ૧૧ તાલુકામાં ૬૯ જેટલા રૂટની ૮૦૦થી વધુ શાળાઓમાં પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ વિવિધ રૂટની શાળાઓમાં ઉપસ્થિત રહીને કુમાર તેમજ કન્યા છાત્રોનો શાળાપ્રવેશ કરાવીને શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈને માળખાકીય સુવિધાઓ તેમજ વાલીઓ સાથે મીટિંગ કરીને શાળાકીય શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ વિદ્યાર્થીઓની નિયમિત રીતે અભ્યાસ કરે તે બાબતે મંથન પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: બ્રિટનના વડાપ્રધાન પદેથી સર કિયર સ્ટાર્મરનું અંતે રાજીનામું
રાજકોટ જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે હાલમાં જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જિલ્લામાં દિવ્યાંગ બાળકોને શાળાપ્રવેશમાં ક્યાંક તકલીફ ન પડે અને તેઓનો સરળતાથી, ઉત્સાહભેર શાળા-પ્રવેશ થાય તે ખાસ જોવા જણાવ્યું હતું. ઉપરાંત ધો.૯થી ૧૨ના ડ્રોપઆઉટ છાત્રોના પુનઃ શાળાપ્રવેશ પર તેમણે ખાસ ભાર મુક્યો હતો. પ્રવેશોત્સવમાં જનારા અધિકારીઓને તેમણે પ્રવેશોત્સવ બાદ શાળાની મુલાકાત લઈ તેમજ શિક્ષકો-વાલીઓ સાથે બેઠક કરીને શાળામાં શિક્ષણની ગુણવત્તા વધે તેવા પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે એક શાળાની મુલાકાતનું ઉદાહરણ રજૂ કરીને દિવ્યાંગ બાળકોના શાળા-પ્રવેશ અને અભ્યાસ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જવા પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
