‘નશામુક્ત ગુજરાત’ માટે ગુજરાત સરકારનું મોટું પગલું
રૂ. 14.90 કરોડના ખર્ચને મંજૂરી; હવે પોતાના જિલ્લામાં જ મળશે સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા
રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં 15 બેડ ક્ષમતાવાળા ડી-એડિક્શન સેન્ટરો (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયથી અત્યાર સુધી વિશેષ સારવાર માટે મોટા શહેરોનો સહારો લેતા નશાના વ્યસનથી અસરગ્રસ્ત લોકોને હવે પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે.
દરેક કેન્દ્રમાં નશાની લતમાંથી મુક્તિ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડિટૉક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસન જેવી સર્વગ્રાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઉપરાંત, ઇન-પેશન્ટ (IPD) અને આઉટ-પેશન્ટ (OPD) બંને પ્રકારની સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: એક ધ્વજ નહીં, આખો ઇતિહાસ: કલકત્તાથી દિલ્હી સુધી તિરંગાની 40 વર્ષની સફર
દરેક કેન્દ્રમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર, મનોવિજ્ઞાનીઓ અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ કાર્યરત રહેશે, જેથી દર્દીને એક જ સ્થળે સર્વાંગી સારવાર મળી શકે.
નશો માત્ર વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે. તેથી નવી વ્યવસ્થા હેઠળ દર્દીને વ્યસન-મુક્ત કરવાની સાથે તેને ફરી સામાન્ય અને સ્વાભિમાની જીવન જીવવા સક્ષમ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
યોજનાના અમલીકરણમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સાધનોની ખરીદી GeM પોર્ટલ મારફતે કરવામાં આવશે. ઉપરાંત કામગીરીનું નિયમિત મોનીટરિંગ, સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ હાથ ધરાશે.
ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં નશાના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી સાથે વ્યસનથી અસરગ્રસ્તોના પુનર્વસન પર પણ ભાર મૂક્યો છે. તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડી-એડિક્શન સેન્ટરો શરૂ કરવાનો નિર્ણય આ અભિગમને વધુ મજબૂત બનાવશે. સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શનથી નશાગ્રસ્ત વ્યક્તિઓને નવું જીવન મળશે, પરિવારોનો આર્થિક અને માનસિક બોજ ઘટશે અને વ્યસનમુક્ત સમાજના નિર્માણને વેગ મળશે.
