Gandhi Jayanti special : ગુજરાતના આ સ્થળો સાથે ગાંધી બાપુનો ગાઢ સબંધ, બાળકો સાથે લો અવશ્ય મુલાકાત
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીને મહાત્મા અને બાપુ કહેવાય છે. ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો છે એટલે ગુજરાત સાથે તેમનો ગાઢ સબંધ છે. ત્યારે ચાલો જાણીએ ગાંધીજી સાથે જોડાયેલી જગ્યાઓ વિશે. તમે આ જગ્યાની મુલાકાત લઈને ગાંધીજી વિશે વધુ માહિતી મેળવી શકો છો.
પોરબંદર ગાંધીજીનું ઘર

પોરબંદરનું નામ આવતાં જ જે સૌથી પહેલું મનમાં આવે છે તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. મહાત્મા ગાંધીએ તેમનું બાળપણ પોરબંદરમાં વિતાવ્યું હતું. પોરબંદરમાં ગાંધીજીનું એક ઘર છે જેને હવે મ્યુઝિયમમાં બદલવામાં આવ્યું છે. અહિ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
રાજકોટનું ગાંધી મ્યુઝિયમ

ભારતની આઝાદી બાદ, ગાંધીજીના સન્માનમાં શાળાનું નામ “મોહનદાસ ગાંધી હાઇસ્કૂલ” રાખવામાં આવ્યું હતું. જોકે વર્ષ ૨૦૧૭માં, શાળા બંધ કરી હતી અને જાહેરાત કરી હતી કે તેને ગાંધી મ્યુઝિયમ બનાવી દેવામાં આવી છે. હાલ આ ગાંધી મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનને લગતી વિવિધ પ્રતિકૃતિઓ રાખવામાં આવી છે.
કબા ગાંધીનો ડેલો

ગાંધીજી પોરબંદરથી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા હતા. ત્યારે તેઓ જે મકાનમાં રહેતા હતા એ કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. ગાંધીજીએ પોતાનું બાળપણ અને વિદ્યાકાળ આ ડેલામાં જ વિતાવ્યું હતું. આજે આ ડેલાને ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે. આજે પણ કબા ગાંધીના ડેલાની મુલાકાત લોકો લે છે ત્યારે બોલી ઊઠે છે કે બાપુ હજુ જીવે છે. ગાંધીજીએ જે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અંદાજે 26 કરોડના ખર્ચે ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં લોકાર્પણ કર્યું હતું.
દાંડી કુટીર મ્યુઝિયમ

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે. જે દાંડી કુટીર તરીકે ઓળખાય છે. આ કુટિરમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીજીના જીવન પર બનાવાયેલો 3D લેસર શો, ગાંધીજીના જીવન આધારીત પ્રદર્શની તેમજ મીઠાનો સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, ઐતિહાસીક દાંડીકૂચ તેમજ અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ સાબરમતી આશ્રમ

મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી પરત આવ્યા તો તેમણે સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદઘાટન 10મી મે, 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી અને તેમની પત્ની કસ્તુરબા ગાંધીએ અહીં લગભગ 12 વર્ષ વિતાવ્યા હતા. જેના કારણે ગાંધીજીને સાબરમતીના સંત પણ કહેવામાં આવે છે.
બારડોલીથી સત્યાગ્રહની શરુઆત

સુરતથી 34 કિલોમીટર દુર બારડોલીથી સત્યાગ્રહની શરુઆત કરી હતી. સરદાર વલ્લભ ભાઈ પટેલ બાદ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કર્યો હતો. અહિ ગાંધીજી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ પણ છે. અહિ સ્વરાજ આશ્રમ મ્યુઝિયમ તેમજ બારટોન લાઈબ્રેરી પણ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે.