પહેલાં અમે મુકેલી છ માંગણીનો લેખિતમાં સ્વીકાર કરો, પછી જ મંત્રણા થશે
મોરબીના જેતપુરમાં ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલ ઉપવાસ આંદતોલન આજે ૧૧મા દિવસમાં પ્રવેશ કર્યો છે ત્યારે રાજ્ય સરકારે ખુલ્લા મનથી ચર્ચા કરવા ખેડૂત સમિતિને આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ ખેડૂતોએ રાજ્ય સરકારના આમંત્રણને નકારી કાઢ્યું હતું. પ્રથમ અમારી છ માંગણી સ્વીકારો પછી જ અમે મંત્રણા કરશું તેવો સણસણતો જવાબ આપી દીધો છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૬૨ કેવીની હેવી વીજલાઈન માટે ખેડૂતોના ખેતરમાં આડેધડ ખોદકામ કરી હેવી ટેન્ટનવાળી વીજલાઈન ઉભી કરવામાં આવી રહી છે. ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવતી ન હોય જેના વિરોધમાં મોરબીના જેતપર ખાતે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનને સૌરાષ્ટ્રભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે અને દરરોજ જુદા જુદા તાલુકા અને ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે જેતપર પહોંચી ખેડૂત આંદોલનને સમર્થન આપી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.
આ પણ વાંચો: જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનું આજે `પોસ્ટમોર્ટમ’ કરશે શાસકો
શનિવારે મોરબી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓએ પણ ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપી મોરબીથી જેતપર સુધી ૫૦૦થી વધુ કાર સાથે મહારેલી યોજી હતી.
ખેડૂત આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે ત્યારે રવિવારની રજામાં પણ મોરબી કલેક્ટર સ્વપ્નીલ ખરેએ પત્રકાર પરિષદ બોલાવી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખુલ્લા મનથી ચર્ચા કરવા આમંત્રણ આપતો પત્ર જાહેર કર્યો હતો.
રાજ્ય સરકારના ખુલ્લા આમંત્રણનો પત્ર લઈ પ્રાંત અધિકારી જેતપર ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા પરંતુ ઉપવાસ પર બેઠેલા ખેડૂતો અને ખેડૂત સમિતિના સભ્યોએ રાજ્ય સરકારના આમંત્રણને ફગાવી દીધું હતું.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે અગાઉ પ્રાંત અધિકારી મારફત રાજ્ય સરકારને અમારી છ માંગણી મોકલી આપી છે જે માંગણીઓ સરકાર સ્વીકાર કરે પછી જ અમે મંત્રણા કરવા તૈયાર થશું ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે.
ખેડૂતોએ અગાઉ મુકેલી મુખ્ય માંગણીમાં અગાઉનો પરિપત્ર રદ કરવામાં આવે અને નવો પરિપત્ર સરકાર બહાર પાડે, ખાનગી વીજ કંપનીનું કામ બંધ કરાવે તેમજ નવી જંત્રી મુજબ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે સહિતની માંગણી મુકી છે.
ખાનગી વીજ કંપની હાલમાં જૂના જીઆર મુજબ ખેડૂતોને મામૂલી વળતર ચૂકવી તેમના ખેતરોમાં મોટું નુકસા કરી રહી છે જે ખેડૂતો કોઈ કાળે ચલાવી લેવા માંગતા નથી. રાજ્ય સરકાર નવો જીઆર બહાર પાડે અને અન્ય માંગણી સ્વીકારે પછી જ મંત્રણા કરવા માટે ખેડૂત સમિતિ ટેબલ પર બેસશે તેવો સણસણતો જવાબ આપી દીધો છે.
ખેડૂત આંદોલનના સુખદ અંત લાવવા માટે પાટીદાર સમાજના સીદસર ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચર્ચા કરી હતી અને બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવી જશે તેવી આશા વ્યક્ત કરી છે.
મોરબીથી જેતપર ૨૧ કિ.મી.ની મહિલાઓની એક્ટિવા રેલી
ખાનગી વીજ કંપની સામે ખેડૂતોના ચાલી રહેલા ઉપવાસ આંદોલનને ભારે સમર્થન મળી રહ્યું છે. શનિવારે મોરબીથી જેતપર સુધી સિરામિક ઉદ્યોગકારોની વિશાળ કાર રેલી નીકળ્યા બાદ આજે મોરબીના સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે ખેડૂતોના સમર્થનમાં મહિલાઓએ સફેદ ડે્રસ પહેરી એક્ટિવા સાથે ઉપસ્થિત રહ્યા બાદ હજારોની સંખ્યામાં મહિલાઓએ સ્કૂટર રેલી કાઢી ૨૧ કિલોમીટરનું અંતર કાપી જેતપર ખેડૂત ઉપવાસી છાવણી ખાતે પહોંચી ખેડૂત આંદોલનને સમર્થન આપી સરકારની બેવડી નીતિનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ આ તકે જણાવ્યું હતું કે, આ તો હજુ ઝાંખી છે, જો સરકાર ખેડૂતોના હીતમાં નિણય નહીં લે તો હવે પછી સ્કૂટર રેલી ગાંધીનગર પહોંચશે.
ખેડૂતોના સમર્થનમાં ૫ જુલાઇએ આપના ગાંધીનગરમાં સામૂહિક ઉપવાસ
વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોની ચાલી રહેલી લડતમાં હવે રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું છે ત્યારે શનિવારે સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ન્યાય અપાવવા મહાપંચાયત બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં ચાલતા આંદોલનને રાજ્યવ્યાપી બનાવવાની ચીમકી આપી છે અને આગામી ૫ જુલાઈએ ખેડૂતોને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસ આંદોલન શરૂ કરશે.
