રાજકોટ સિવિલમાં તબીબ પર હુમલા પ્રકરણમાં સારવારમાં રહેલા યુવકનું મૃત્યુ: યોગ્ય સારવારનાં અભાવે મોત થયાનો સમાજનો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર થયેલા હુમલા પ્રકરણમાં સારવારમાં રહેલા નેપાળી યુવક બીનય ગોપાલભાઈ થાપા (ઉ.વ.35)નું મૃત્યુ નિપજ્યું છે. બીનયને સર્જરી સમયે લોહીની જરૂરિયાત હતી. લોહી આપવા માટે અયોધ્યા ચોક નજીક રાધા રેસિ.માં રહેતો જયદીપ પિયુષભાઈ ચાવડા સિવિલમાં આવ્યો હતો જ્યાં તેને તબીબ સાથે માથાકૂટ થતાં જયદીપે તબીબ પાર્થ પંડ્યાને માર માર્યો હતો. હુમલાના વિરોધમાં સિવિલમાં જુનિયર તબીબો હડતાલ પર ગયા હતા. આરોપી ગઈકાલે ગુરૂવારે પકડાતા હડતાલ સમેટાઈ હતી. ત્યાં આજે સારવારગ્રસ્ત યુવકે જ જીવ ગુમાવ્યો હતો.
સદર બજારમાં આવેલી હોટલમાં રહેતો નેપાળી યુવક ગત તા.25ના બાઈક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકની ન્યુરો વિભાગમાં સર્જરી કરાઈ હતી. જે તે સમયે લોહીની બોટલ સિવિલની બ્લડ બેન્કમાંથી લેવાઈ હતી. અન્ય દર્દીઓને લોહી મળી રહે માટે યુવકના પરિવાર, સંબંધીઓને એક બોટલ લોહી જમા કરાવવા કહેવાયું હતું. જે બ્લડ આપવા જયદીપ તા.29ના રોજ આવ્યો હતો અને તબીબ સાથે બ્લડની ચિઠ્ઠી બાબતે માથાકૂટ થઈ હતી. મૃતક યુવક બીનય આઠ માસ પહેલાં જ રાજકોટ આવ્યો હતો અને હોટલમાં નોકરી કરતો હતો.
આ પણ વાંચો :રાજકોટ વાઈબ્રન્ટમાં નવી એરોસ્પેસ-ડીફેન્સ પોલિસીની જાહેરાતની સંભાવના: આવનારા સમયમાં ગુજરાત બનશે ડીફેન્સ હબ
સિવિલ હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા
યુવક વિનય થાપાના મોત બાદ નેપાળી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમાજનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી, લોહીની અછત સમયે વિવાદ, હડતાલ અને રાત્રે યોગ્ય દેખરેખ ન હોવાને કારણે વિનયને પૂરતી સારવાર મળી નહોતી, જેના કારણે તેનું મોત થયું. બીજી તરફ સિવિલ હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી તથા સારવાર પ્રોટોકોલ મુજબ જ આપવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃત્યુના કારણો અને સારવાર પ્રક્રિયાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
