કેન્સર અને કોરોનાગ્રસ્ત રાજકોટના 69 વર્ષીય વૃદ્ધાનું મોત : અઝરબૈઝાન-દુબઈથી આવેલા 2 સહિત 9 લોકોને કોરોના
સુભાષનગર, સિલ્વર એવન્યુ સોસાયટી, પંચવટી સોસાયટી સહિતના વિસ્તારોમાંથી કેસ મળ્યાઃ કુલ કેસનો આંકડો 200ની નજીક
આજે રાજકોટમાં એક ચિંતાજનક ઘટના પણ બની છે હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું ત્યારે આજે પણ ઠક્કરબાપા નગરમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે, જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધાને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું.

રાજકોટમાં કોરોનાના કેસ નિયમિત મળવાનું શરૂ થઈ ગયું છે ત્યારે તેમાં વધુ નવ કેસનો ઉમેરો થવા પામ્યો છે. અઝરબૈઝાન, દુબઈ સહિતના સ્થળેથી પરત રાજકોટ આવેલો એક યુવક અને એક યુવતી કોરોનાગ્રસ્ત થતાં તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વોર્ડ નં.4ના બેડીપરામાં રહેતો અને અઝરબૈઝાનથી પરત ફરેલો 29 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થયો છે.

આ ઉપરાંત વોર્ડ નં.12ના ગોવર્ધન ચોકમાં રહેતી અને દુબઈથી રાજકોટ પરત ફરેલી 28 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં તેને હોમ આઈસોલેટ કરાઈ હતી. આ ઉપરાંત વોર્ડ નં.8ની સિલ્વર એવન્યુ સોસાયટીમાં 22 વર્ષીય યુવક, વોર્ડ નં.17ના સુભાષનગરમાં રહેતાં 47 વર્ષીય પુરુષ, વોર્ડ નં.8ના લક્ષ્મીનગરમાં રહેતી 34 વર્ષીય યુવતી, વોર્ડ નં.9ના મીરાંનગરમાં રહેતો 20 વર્ષીય યુવક, વોર્ડ નં.3ના પરસાણાનગરમાં 30 વર્ષીય પુરુષ, વોર્ડ નં.13ની પંચશીલ સોસાયટીમાં રહેતાં 90 વર્ષીય વૃદ્ધ અને વોર્ડ નં.8માં પંચવટી સોસાયટીમાં રહેતાં 59 વર્ષીય વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા છે.

આ સાથે જ શહેરમાં કુલ કેસનો આંકડો 187 થઈ જવા પામ્યો છે જેમાંથી 133 દર્દી સાજા થઈ ગયા છે તો 54ની સારવાર હજુ ચાલી રહી છે.