રાજકોટમાં પહેલી વખત ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટી-20
ટેસ્ટ, વન-ડે બાદ હવે ટી-૨૦ મુકાબલાનું સાક્ષી બનશે રાજકોટ
પાંચ મેચની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે: બીસીસીઆઈની જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલું સીઝનની જાહેરાત કરી છે. બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો છે જે પ્રમાણે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવશે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડની ટીમ પણ ભારત પ્રવાસે આવશે. આ કાર્યક્રમથી રાજકોટીયન્સે ખુશ થવાની વાત એ છે કે આગામી વર્ષે ૨૮ જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો રમાશે.
નવેમ્બર બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની યજમાની કરશે. ઈંગ્લેન્ડે આ વર્ષની શરૂઆતમાં ભારતનો પ્રવાસ કર્યો હતો પરંતુ માત્ર ટેસ્ટ શ્રેણી જ રમી હતી. આ વખતે ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવશે અને ટી-૨૦ ઉપરાંત ત્રણ વન-ડે મેચની શ્રેણી રમશે. આ શ્રેણી ચેન્નાઈ, કોલકત્તા, રાજકોટ, પૂના અને મુંબઈમાં રમાશે. જ્યારે વન-ડે શ્રેણીની શરૂઆત ૬ ફેબ્રુઆરીથી થશે જેનો પહેલો મુકાબલો નાગપુર, બીજો કટક અને ત્રીજો ૧૨ ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના સ્ટેડિયમ પર છેલ્લે ૭ જાન્યુઆરી-૨૦૨૩માં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-૨૦ મુકાબલો રમાયો હતો જેમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. હવે બે વર્ષ બાદ ફરી રાજકોટ બે બળુકી ટીમ વચ્ચેના ટી-૨૦ મુકાબલાની સાક્ષી બનશે.