ગુજરાતમાં ટુરિઝમ અને ધર્મસ્થળો માટે ₹133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર!
ગુજરાતમાં ધાર્મિક આસ્થા અને પ્રવાસનને વેગ આપવા માટે સરકાર દ્વારા સતત મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોનો ભવ્ય વિકાસ થાય અને પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુસર સરકારે એક મોટો નાણાકીય સ્વીકાર કર્યો છે, જે સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર ફેલાવી રહ્યો છે.
ગુજરાત સરકારની મોટી ભેટ: 133 કરોડના 10 પ્રોજેક્ટ્સ મંજૂર
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યમાં પ્રવાસન અને ધાર્મિક ધામોના કાયાકલ્પ માટે અંદાજે રૂ. 133 કરોડના ખર્ચે 10 વિવિધ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ ગીરથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના વિવિધ સ્થળોનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.
કયા મુખ્ય સ્થળોને અપાઈ છે પ્રાથમિકતા?
મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ગીર વિસ્તારના આઈકોનિક વિકાસને સૌથી મોટું સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરના રૂપાલ સ્થિત પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે માતબર રકમ ફાળવાઈ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં ગોંડલના ઐતિહાસિક અનળગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિર પરિસર તેમજ નવસારીના વાંસદા ખાતે આવેલા ઉનાઈ માતાજી મંદિર સંકુલમાં ભવ્ય પ્રવેશદ્વાર, પ્રદક્ષિણા પથ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાઈબ્રેરી જેવા કાર્યો કરાશે.
આ પણ વાંચો: કુખ્યાત બુટલેગરના પૌત્રનો આતંક: રોંગસાઈડ કાર દોડાવી સર્જ્યો અકસ્માત!
નદી ઘાટ નિર્માણ અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ
વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ચેહર માતાજીના મંદિર નજીક મહિસાગર નદી પર આકર્ષક ઘાટનું નિર્માણ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે અહીં વોકવે, પેવર બ્લોક, સુરક્ષા રેલિંગ અને સુંદર લેન્ડસ્કેપિંગ જેવા કાર્યો હાથ ધરાશે, જેથી પ્રવાસીઓને ઉત્તમ અનુભવ મળી શકે.
કયા સ્થળ માટે કેટલી ગ્રાન્ટ ફાળવાઈ?
ગીર વિસ્તાર: પ્રવાસનને લગતા આઈકોનિક વિકાસ માટે રૂ. 43.91 કરોડ
રૂપાલ (ગાંધીનગર): વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે રૂ. 35 કરોડ
કેસરડી (અમદાવાદ): જોધલપીર મંદિરના નવનિર્માણ માટે રૂ. 21.75 કરોડ
અંજાર: ગોવર્ધન પર્વતના ડેવલપમેન્ટ માટે રૂ. 12.98 કરોડ
ગોંડલ: અનળગઢ કિલ્લા અને મહાકાળી મંદિરના વિકાસ માટે રૂ. 5.06 કરોડ
વાંસદા (નવસારી): ઉનાઈ માતાજી મંદિર સંકુલના વિકાસ માટે રૂ. 5.03 કરોડ
ભાદરવા (સાવલી): મહિસાગર નદીના ઘાટ નિર્માણ માટે રૂ. 3.31 કરોડ
તરભ (મહેસાણા): વાળીનાથ મહાદેવ મંદિરમાં સોલાર પ્રોજેક્ટ માટે રૂ. 2.68 કરોડ
ઉમરેચા (મહેસાણા): મહાકાળી માતાજી મંદિરના કામ માટે રૂ. 50 લાખ
ધરમપુર (વલસાડ): ગોરા રામજી મંદિરના નવનિર્માણ માટે રૂ. 18.91 લાખ
આમ, ગુજરાત સરકારની આ દરિયાદિલીથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને નવું બળ મળશે અને ધાર્મિક સ્થળો પર આવતા લાખો શ્રદ્ધાળુઓને વિશ્વકક્ષાની સુવિધાઓ પ્રાપ્ત થશે. આ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે અને ગુજરાત વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂતીથી ઉભરી આવશે.
