ઘરમેળે સમાધાન : જિલ્લા બેન્ક સામેની રીટ પાછી ખેંચાઈ
- હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, નીતિન ઢાકેચા અને વિજય સખીયા જૂથે મિત્રતામાં સમાધાન કર્યું
રાજકોટ : રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના જ બે બળિયા જૂથ દ્વારા સતા માટેના દાવપેચમાં જિલ્લા સહકારી બેંકમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઇકોર્ટમાં દાવો કરનારા સહકારી આગેવાનોના જૂથે અચાનક જ ઘરમેળે સમાધાન કરી લઈ હાઇકોર્ટમાં કરેલી રીટ અરજી પાછી ખેંચી લેતા સહકારીક્ષેત્રે લાંબા સમયથી ચાલતા જુથવાદનો અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સહકારી અગ્રણી જયેશ રાદડીયાના વડપણ હેઠળની રાજકોટ જિલ્લા સહકારી બેંકની ભરતીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અન્ય અનેકવિધ ગોટાળાઓના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લાનું જ હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, નીતિન ઢાકેચા અને વિજય સખીયાનું જુથ મેદાને પડ્યું હતું. કથીત ભ્રષ્ટાચાર વિશે સૌ પ્રથમ રાજ્ય સરકાર તથા ભાજપના પ્રમુખ પ્રમુખને રૂબરૂ અને લેખિત ફરિયાદ કરીને પગલા લેવાની માંગ થઇ હતી.પરંતુ તેમાં કોઇ પરિણામ નહીં આવતા છેવટે આ જુથે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ફેબ્રુઆરી-2022થી કાનૂની જંગ શરુ થયો હતો.બીજી તરફ ગઇકાલની હાઇકોર્ટની મુદતમાં રીટ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા બેંકમાં ભરતી સહિતના પ્રકરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે હાઇકોર્ટમાં દાવો દાખલ કરનાર સહકારી આગેવાનો પરસોતમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા તથા વિજય સખીયાએ કેસ પાછો ખેંચી લેવાની પ્રક્રિયા કરી લીધી છે એકાએક આ પ્રકારના નિર્ણય વિશે પરસોતમ સાવલિયાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સહકારી તથા રાજકીય ક્ષેત્રના કોમન મિત્રોના સતત આગ્રહને કારણે આ નિર્ણય લેવાયો છે.જો કે,આ સમાધાન પ્રક્રિયામાં મોરબીના સહકારી આગેવાન મગ્ન વડાવિયાની ભૂમિકા નિર્ણાયક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.