રાજકોટ રેલવે સ્ટેશન પર રેપિડો કાઉન્ટરનો પ્રારંભ
રાત્રીના મુસાફરોને હવે ઉંચા ભાડા નહીં ચૂકવવા પડે: મુસાફરો જરૂરિયાત મુજબ બાઇક, થ્રી-વ્હિલ, ફોર વ્હિલ બૂક કરાવી શકશે
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેર દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ અનેક લાંબા અંતરની ટે્રનો પણ રાજકોટને મળી રહી છે ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષાના ચાલકો મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો આવે છે. ખાસ કરીને રાત્રીના સમયે રિક્ષાચાલકો ત્રણ ગણા ભાડા પડાવતા હોવાની ફરિયાદ સામે આવી છે ત્યારે હવે મુસાફરોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ રેલવે તંત્ર દ્વારા રેલવે સ્ટેશનના પ્રાંગણમાં જ રેપિડો સેવા માટેનું સેન્ટર શરૂ કરી દીધું છે.
રાજકોટ રેલવે સ્ટેશનથી મુસાફરોને તેમના ઘર સુધી જવા માટે અગાઉ મનફાવે તેવા ભાડા રિક્ષાચાલકોને ચૂકવવા પડતા હતા જે રેલવે અધિકારીઓના ધ્યાન પર આવતા રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સવલત અને સગવડતા માટે નવું આવકારદાયક પગલું લીધું છે.
આ પણ વાંચો: જેતપરમાં વીજ કંપની સામે ફરિયાદ કરવા ખેડૂતના ટોળાંએ પોલીસ સ્ટેશન માથે લીધું
રેલવે તંત્રએ રેપિડો સર્વિસ સાથે મળીને રેલવે સ્ટેશનના પટાંગણમાં જ રેપિડો સેન્ટર શરૂ કરી દીધું છે જેનો મુસાફરોને ભરપુર ફાયદો મલશે. એટલું જ નહીં ફિક્સ ભાડાએ મુસાફરો પોતાના મુળ સ્થાન સુધી આરામથી પહોંચી શકશે.
રાજકોટ રેલવે સ્ટેશનના અક્યુલેટિંગ એરિયામાં રપિડો કાઉન્ટર સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના ભાગરૂપે મુસાફરો ચાલુ ટે્રને અથવા રેલવે સ્ટેશને ઉતર્યા બાદ રેપિડો કાઉન્ટર પરથી ફિક્સ અને ઓછા ભાડાએ બાઈક, થ્રી-વ્હિલર અને ફોર-વ્હિલરનું બુકિંગ કરી તેમના ઘર સુધી આસાનીથી પહોંચી શકશે.
આ સુવિધાનો સૌથી વધુ લાભ સિનિયર સિટીઝનો, બાળકો, મહિલાઓને અને પ્રવાસીઓ માટે ફાયદાકારક સાબીત થશે. મુસાફરો પોતાની જરૂરિયાત અને સુવિધા મુજબ બાઈક, થ્રી-વ્હિલર કે ફોર-વિવ્હલર બૂક કરાવી શકશે. આ સેવા સવારના ૬ વાગ્યાથી રાત્રીના ૨ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રેપિડો સેવાનો પાયલોટ પ્રોજેક્ટ રાજકોટ રેલવે સ્ટેશને શરૂ કર્યો છે અને આગામી દિવસોમાં દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના રેલવે સ્ટેશન પર પણ રેપિડો કાઉન્ટર શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
