રવિવારી બજારના એક પણ ધંધાર્થીને હેરાન કર્યા છે તો…!
રાજકોટની સમસ્યાઓને લઈને તંત્રનો કાન આમળવા માટે સ્ટાર' બની ગયેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ટોળું લઈને મનપા કચેરીએ ધસી આવ્યા
મ્યુનિ.તંત્ર કેટલું કાબેલ-સક્ષમ છે તે ટીઆરપી ગેમિંગ ઝોનમાં બધાએ જોઈ લીધું છે-અધિકારીઓને ટોણો

ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટને જ પોતાનું
વતન’ બનાવી લેનારા વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એક પછી એક મુદ્દે તંત્રને ભીંસમાં લઈ રહ્યા છે. એકંદરે બહુ ટૂંકા ગાળામાં તેઓ લોકોમાં `સ્ટાર’ બની ગયા હોવાથી નાની-મોટી સમસ્યા લઈને લોકો હવે તેમની પાસે જ જવાનો આગ્રહ રાખી રહ્યા છે ! આવો જ એક મુદ્દો આજી ડેમ પાસે ભરાતી રવિવાર બજારનો તેમણે ઉપાડ્યો છે. થોડા સમય પહેલાં તંત્ર દ્વારા રવિવારે બજારમાં ઉભા રહીને ધંધો કરતાં ધંધાર્થીઓને જગ્યા નહીં છોડે તો લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાતા સોમવારે ઉઘડતી કચેરીએ મેવાણી ટોળું લઈને મનપા કચેરીએ ધસી આવ્યા હતા અને મ્યુનિ.કમિશનરને આ પ્રકારની કોઈ કાર્યવાહી નહીં કરવા રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે શહેરની રોનક અને વર્ષો જૂની ઓળખ એવી રવિવારી બજારના લોકોને છેલ્લા ઘણા દિવસોથી નોટિસ ફટકારવામાં આવી રહી છે. ભાજપ સરકાર અને રાજકોટનું મ્યુનિ.તંત્ર કેટલું કાબેલ અને સક્ષમ છે એ તો ટીઆરપી ગેઈમ ઝોન પ્રકરણમાં સૌએ જોઈ લીધું છે. બીયુ પરમીશન વગર ઉભેલા સેંકડો મકાનો, ઈમારતો, ટાવરો, શોપિંગ સેન્ટરો મનપાને દેખાઈ રહ્યા નથી અને રવિવારી બજારના ગરીબ ધંધાર્થીઓને ધમકી આપવામાં આવી રહી છે જે તંત્ર કેટલું નમાલું બની ગયું છે તેનો તાદ્દશ પૂરાવો છે !
તેમણે કહ્યું કે જો આ રવિવારી બજાર હટાવવી જ પડે તેમ હોય તો ત્યાંના એક-એક લારી-ગલ્લા, પાથરણાવાળાનો પાક્કો સર્વે-અભ્યાસ કરી એમને વરસાદ રહી જાય ત્યારબાદ બીજે પોતાનો ધંધો-રોજગાર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી સાથે સાથે શહેરમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ખરા અર્થમાં અમલ કરવા પણ જણાવાયું હતું.