ચૂંટણીમાં રૂપાલા – ધાનાણીએ કેટલા ખર્ચ્યા ? આજે હિસાબ
ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રાની હાજરીમાં ચૂંટણીખર્ચના આખરી હિસાબો રજૂ કરવામાં આવશે
રાજકોટ : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ 30 દિવસમાં ચૂંટણી લડનાર ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો આપવાની જોગવાઈ મુજબ આજે રૂપાલા – ધાનાણી સહિતના લોકસભા ચૂંટણી લડનાર ઉમેદવારોને ખર્ચના હિસાબો રજૂ કરશે. ચૂંટણીપંચના ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા પણ હિસાબોની ચકાસણી માટે રાજકોટ આવી ગયા છે.
રાજકોટ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ત્રીજા ચરણના હિસાબો રજૂ કર્યા હતા અને હવે પરિણામો આવી જતા નિયમ મુજબ 30 દિવસમાં ચૂંટણી ખર્ચના ફાઇનલ આંકડા રજૂ કરવા પડે છે જેથી તમામ ઉમેદવારોને આજે પોતાના આખરી ખર્ચના હિસાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી હોય ચૂંટણીપંચના ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા આજે ભાજપ-કોંગ્રેસ તેમજ અપક્ષ સહિત ચૂંટણી લડનાર તમામ ઉમેદવારોના હિસાબો રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડનાર ઉમેદવારોએ ગત તા.5 મે ના રોજ ત્રીજા તબક્કામાં હિસાબ રજૂ કર્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ 27,63,868 અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ 20,09,282નો જયારે બસપાના ઉમેદવાર ચમનભાઈ સવસાણીએ 34806, અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશભાઈ મહાજને 27, 800, પ્રકાશભાઈ સિંધવે 97,675, નયનભાઈ ઝાલાએ 39,200, નિરલભાઈ અજાગીયાએ મતદાર યાદી ખરીદતા 1,01,582, ભાવેશ આચાર્યએ 43,961 અને ભાવેશ પીપળીયાએ 28,450નો ચૂંટણી ખર્ચ કર્યાનું જાહેર કર્યું હતું.ત્યારે આજે રૂપાલા, ધાનાણી સહિતના તમામ ઉમેદવારો હિસાબો રજૂ કરશે અને જો કોઈ ઉમેદવાર આજે હિંસાબ રજૂ ન કરી શકે તો તેમને વધારાના 15 દિવસનો સમય આપવામાં આવે છે.
ચૂંટણીપંચના નિયમ મુજબ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોને 95 લાખની ખર્ચ મર્યાદા હતી. મહત્વનું છે કે, ચૂંટણી લડ્યા ન હોય અને માત્ર ઉમેદવારી ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવારોએ પણ ખર્ચના આખરી હિસાબ રજૂ કરવાનો નિયમ છે અને જો આવા ખર્ચના હિસાબો રજૂ કરવામાં કસૂર થાય તો ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકવાની પણ જોગવાઈ હોવાનું જાણવા મળે છે.