સૌરાષ્ટ્રની ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ અંગે ભારે સસ્પેન્સ
દરેક બેઠક પર અનેક નામો પર મનોમંથન જારી
સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીની બેઠકોના ભાજપના ઉમેદવાર હજુ સુધી જાહેર ન થતાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. આ બેઠકો ઉપર નવા ચહેરા શોધવાની મથામણ વચ્ચે હાલમાં અટકળો અને અફવાઓનું બજાર ગરમ બન્યું છે.
ભાજપના વર્તુળોના જણાવ્યા અનુસાર આ તમામ બેઠકો ઉપર વિજય માટે તો ભાજપ નિશ્ચિત છે પરંતુ પાંચ લાખ કરતા વધારે સરસાઈ લેવાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ભાજપ ફૂંકી ફૂંકીને છાશ પીવાનો અભિગમ અપનાવ્યો છે. આ ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો કોળી મતદારોના વર્ચસ્વવાળી છે અને વર્તમાન સાંસદો પણ એ સમુદાયના છે. એ સંજોગોમાં કોળી સમાજના નવા ચહેરા તરીકે અનેક નામો ઉભરી રહ્યા છે.
જૂનાગઢમાં છેલ્લી મિનિટે મહેશગીરી નું નામ ઉછળ્યું
જૂનાગઢની બેઠક માટે જો સૂત્રોનું માનીએ તો ભાજપની નજર કોંગ્રેસના નેતા પુંજાભાઈ વંશ ઉપર હતી. પુંજાભાઈ ભાજપમાં જોડાય તો તેમને જૂનાગઢની ટિકિટ આપવાનો પ્લાન હતો. જોકે પુંજાભાઈ હજુ સુધી તો કોંગ્રેસ સાથે છે. આ સંજોગોમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીતાબેન માલમ, જી.પી. કાઠી અને માંગરોળના ધારાસભ્ય કરસનભાઈ સાગઠીયા ના નામ ચર્ચામાં હતા. ઉના સ્થિત પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્રી દીપાબેન નું નામ પણ ગાજતું રહેતું હતું. તે દરમિયાન છેલ્લા બે દિવસથી દિલ્હીના પૂર્વ સાંસદ અને ઉનાના દ્રોણેશ્વરના ભૂતપૂર્વ મહંત મહેશગીરીનું નામ અચાનક ચર્ચામાં આવી ગયું હતું. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહેશ ગીરી ગિરનાર ક્ષેત્રમાં વિધર્મીઓની કથિત પ્રવૃત્તિ સામે આક્રમક ઝુંબેશ ચલાવી રહ્યા છે અને તેઓ હિન્દુત્વના લડાયક ચેહરા તરીકે ઉભરી આવ્યા છે.
હીરાભાઈ સોલંકીએ નનૈયો ભણતા ભાવનગરનું કોકડું ગૂંચવાયું
અમરીશ ડેર ભાજપમાં જોડાયા તે પછી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને રાજીનામું અપાવી ભાવનગર ની બેઠક ઉપરથી લડાવવાનું આયોજન હતું પરંતુ હીરાભાઈએ ધારાસભ્ય પદ છોડવાની અનિચ્છા વ્યક્ત કરતા મામલો અટવાયો છે. આ સંજોગોમાં હીરાબેન શિયાળને કદાચ રીપીટ પણ કરવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. ભાવનગરની બેઠક માટે અન્ય મહિલા કોળી નામોમાં ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ આર.સી. મકવાણાના ધર્મપત્ની અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા તેમજ ભાવનગરના પૂર્વ મેયર નીરૂબેન બાંભણીયા ના નામ રેસમાં હોવાનું જાણવા મળે છે.
સુરેન્દ્રનગરની બેઠક માટે કુંવરજીભાઈ પર દબાણ?
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરની બેઠક પર દિગ્ગજ કોળી નેતા અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ઉતારવાનો ભાજપે આગ્રહ કર્યો હતો. ખુદ વડાપ્રધાન મોદીએ પણ એ અંગે દાણો દાબી જોયો હતો. જોકે કુંવરજીભાઈએ કેન્દ્રમાં જવાની અનિચ્છા વ્યક્ત કરતા સુરેન્દ્રનગરની બેઠક પર પાંચ લાખની સરસાઈ મેળવી શકે એવા નવા સક્ષમ કોળી ચહેરાની તલાશ છે.એ સંજોગોમાં તદ્દન નવા નામની ઘોષણા થઈ શકે છે. કદાચ ડોક્ટર મુંજપરાને રીપીટ કરવામાં આવે એ સંભાવના પણ ચર્ચામાં છે.