સારા સમાચાર :આ વખતે લોકમેળો રેસકોર્સને બદલે બીજા સ્થળે યોજાશે..: સ્થળની શોધમાં અધિકારીઓ
- લોકમેળો રેષકોર્ષને બદલે અન્યત્ર ખસેડાશે
- ભાતીગળ લોકમેળો નવા સ્થળે યોજવા માટે ત્રણ મામલતદારોને દોડાવતા પ્રાંત અધિકારી
રાજકોટ : રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ લોકોની સુખાકારી અને જોખમને લઇ તંત્ર બાંધછોડ કરવા માંગતું ન હોવાના સંકેત વચ્ચે દરવર્ષે રેષકોર્ષ ગ્રાઉન્ડમાં યોજવામાં આવતો લોકમેળો હવે ભીડભાડની સમસ્યા નિવારવા શહેરની બહાર અન્યત્ર યોજવામાં આશે, લોકમેળા સમિતિ દ્વારા આ બાબતે ગંભીર પણે વિચારણા શરૂ કરી દેવામાં આવી છે અને રાજકોટ સીટી પ્રાંત-1 દ્વારા લોકમેળાના આયોજન માટે નવું સ્થળ શોધવા ત્રણ મામલતદારોને જવાબદારી સોપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં વર્ષોથી જન્માષ્ટમી પર્વે પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અગાઉ શાસ્ત્રી મેદાન બાદ ટ્રાફિક સમસ્યાને પગલે લોકમેળાને રેષકોર્ષ ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવ્યો છે, પરંતુ લોકમેળાના પાંચ દિવસના આયોજનમાં ભારે ટ્રાફિક સમસ્યા ઉપરાંત હાલમાં જામનગર રોડને જોડતા સાંઢિયા પુલનું કામ ચાલુ હોવાથી મોટાભાગનો ટ્રાફિક વાયા રેષકોર્ષ ચોક, કિશાનપરા થઇ 150 ફૂટ રિંગ રોડ ઉપર ડાયવર્ટ કરાયો હોવાથી આ વર્ષે મેળાને કારણે ભારે અગવડતા સર્જાય તેવી સ્થિતિ જોતા નવા સ્થળે લોકમેળો યોજવા વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દરમિયાન લોકમેળાનું સમગ્ર આયોજન જ્યાંથી કરવામાં આવે છે તેવા સીટી પ્રાંત-1 અધિકારી દ્વારા લોકમેળાના નવા સ્થળની શોધખોળ માટે રાજકોટ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ મામલતદારને જવાબદારી સોંપી હોવાનું પણ જાણવા મળે છે, ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમી પર્વે આવી રહ્યો છે, જેમાં 24મીએ રાંધણ છઠ્ઠ પર્વથી મેળાનો પ્રારંભ થતો હોય છે શ્રાવણ વદ દસમ સુધી પાંચ દિવસ ચાલતો હોય છે, ખાસ કરીને ટ્રાફિક સમસ્યા જોતા ઓણસાલ નવા સ્થળે ભાતીગળ લોકમેળો યોજાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.