અગ્નિકાંડ ઇફેક્ટ ! લોકમેળામાં આવા-ગમન માટે આઠ દરવાજા
રેષકોર્ષમાં લોકમેળા માટે પીજીવીસીએલનું આગોતરું આયોજન 21 ટ્રાન્સફોર્મર ઉભા કર્યા : ટોટલ વાયરિંગ અન્ડરગ્રાઉન્ડ
રાજકોટ : આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળાની પ્રથમ બેઠક બાદ લોકમેળા સમિતિ તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈ આ વર્ષે મેળામાં આવાગમન માટે આઠ દરવાજા રાખવાની સાથે ડ્રોનથી સતત મોનીટરીંગ કરવા ઉપરાંત કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મેળામાં સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે તેમજ આ માટે પીજીવીસીએલ દ્વારા રેષકોર્ષ ગ્રાઉન્ડમાં 21 ટ્રાન્સફોર્મર પણ ઉભા કરી લેવામાં આવ્યા છે.
લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડમાં ભાતીગળ લોકમેળો યોજવાની જાહેરાત કરી અલગ-અલગ 19 સમિતિઓની રચના કરવામાં આવી છે, જો કે, લોકમેળાના આયોજનમાં આ વર્ષે મોડું થયું છે. સાથે જ અગ્નિકાંડ દુર્ઘટનાને કારણે ક્રાઉડ કંટ્રોલ માટે સ્ટોલની સંખ્યા ઘટાડવા નિર્ણય લેવાયો છે. જો કે ક્યાં સ્ટોલ કેટલા ઘટશે તે હજુ નકકી નથી છતાં પણ યાંત્રિક રાઈડર્સના પ્લોટ ઘટે તેવી શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ સ્ટોલ માટેના ફોર્મના વિતરણની કોઈ તારીખો નક્કી કરવામાં આવી નથી ત્યારે છેલ્લી ઘડીએ તંત્રને દોડધામ થવાની શક્યતા પણ જોવાઈ રહી છે. દરમિયાન લોકમેળામાં આ વખતે પ્રથમવાર અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે તેવું પીવીસીએલના સૂત્રો જણાવી રહ્યા છે.ગતવર્ષે લોકમેળામાં 371 સ્ટોલ હતા ત્યારે આ વખતે લોકમેળામાં સ્ટોલની સંખ્યામાં 40 ટકા ઘટાડાના નિર્દેશો તંત્રએ આપતા મેળામાં યાંત્રિક આઇટમો ઉપર નિયંત્રણ આવે તેવું મનાઈ રહ્યું છે.