સંસદના બન્ને ગૃહો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
11માંથી 10 બિલો વગર ચર્ચાએ પસાર, પોલીસ દમન અને ચંદા ચોરીના મુદે ઘમાસાણ,લોકસભામાં માત્ર 11 કલાક ચર્ચા થઈ,અધ્યક્ષે વિદાય પ્રવચન પણ ન આપ્યું
ગુરુવારે સંસદના ચોમાસુ સત્રના અંતિમ દિવસે સવારે 11 વાગ્યે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનું આગમન થયું. વિપક્ષોએ ‘ માફી માંગો..માફી માંગો..’ અને ‘ લાઠીચાર્જ નો આદેશ કોણે આપ્યો ..’ ના નારા લગાવ્યા, વડાપ્રધાન મોદી આવ્યા, વંદે માતરમ્ નું ગાન શરૂ થયું, બધા અદબભેર ઊભા રહ્યા, સંસદના આખા ચોમાસું સત્રની
3.52 સેકન્ડની આ એક માત્ર શાંત ક્ષણો હતી.વંદે માતરમ્નું ગાન પૂરું થયું અને એ સાથે જ અધ્યક્ષ ઓમ બિરલાએ અનિશ્ચિત કાળ માટે ગૃહ સ્થગિત કરવાની જાહેરાત કરી.ધીમે ધીમે સાંસદો ગૃહની બહાર નીકળવા લાગ્યા અને એ સાથે જ અભૂતપૂર્વ ધાંધલ ધમાલની સાક્ષી બનનાર સંસદનો સ્તબ્ધ સભાખંડ સન્નાટામાં ગરકાવ થઈ ગયો.લોકશાહીનું મંદિર ગણાતી સંસદમાં ન કોઈ રચનાત્મક ચર્ચા થઈ, ન લોકોની સમસ્યાને વાચા મળી, ન ભાવિ વિકાસની રૂપરેખા દર્શાઈ કે ન લોકશાહીનું સન્માન જળવાયું.એક માત્ર પેપર લીક કાયદા ને બાદ કરતા બાકીના તમામ બિલ વગર ચર્ચાએ, ઉતાવળે પસાર કરી દેવાયા.
ચોમાસુ સત્રની 20 જુલાઈએ શરૂઆત થઈ અને પ્રથમ દિવસથી જ વિપક્ષે જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમનના મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ અપનાવી હતી. ત્યારબાદ અયોધ્યાના રામ મંદિરના ચંદાના કથિત ગેરવહીવટ અને ચોરીના આક્ષેપો પણ વિપક્ષના હુમલાનું મુખ્ય હથિયાર બન્યા હતા. સમગ્ર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં સતત સૂત્રોચ્ચાર, હોબાળો અને વિરોધ પ્રદર્શનના દૃશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ખડગેની સભા પછી હિન્દુ સંગઠન દ્વારા કરાયો શુદ્ધિકરણ હવન
નોંધનીય બાબત એ રહી કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સત્રના અંતે સામાન્ય રીતે વાંચવામાં આવતું ઉત્પાદકતા અને કામગીરીનું મૂલ્યાંકન કરતું વિદાય પ્રવચન પણ આપ્યું નહોતું. સમગ્ર સત્ર ધાંધલ અને હોબાળામાં ધોવાઈ જતાં ગૃહની સિદ્ધિઓ ગણાવવા જેવી ખાસ કોઈ બાબત ન હોવાનો સંકેત તેમાં જોવા મળ્યો હતો.
ત્રણથી ચૌદ મિનિટમાં બીલો ફટાફટ પસાર
લોકસભાએ કુલ 11 બિલો પસાર કર્યા હતા, પરંતુ પેપર લીક વિરોધી કાયદા સિવાયના લગભગ તમામ બિલો હોબાળા વચ્ચે અવાજ મતથી મિનિટોમાં પસાર કરી દેવામાં આવ્યા હતા. પેપર લીક કાયદા પર લગભગ 11 કલાક ચર્ચા થઈ હતી, જ્યારે બાકીના બિલોને ચર્ચા વિના મંજૂરી મળી હતી. નેશનલ ઓનર સુધારા બિલ 14 મિનિટમાં, જન્મ-મૃત્યુ નોંધણી સુધારા બિલ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ ચાર-ચાર મિનિટમાં, એમએસએમઈ સુધારા બિલ અને કરવેરા સુધારા બિલ ત્રણ-ત્રણ મિનિટમાં પસાર થઈ ગયા હતા. વિપક્ષે આ પ્રક્રિયાને લોકશાહી પર પ્રહાર ગણાવી હતી.
સીમાંકન બિલ રજૂ જ ન થયું
બુધવારે વિદેશી ફાળો નિયમન કાયદા (એફસીઆરએ) સુધારા બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાના મુદ્દે પણ થોડા સમય માટે ચર્ચા થઈ હતી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ બિલને લઘુમતી અને એનજીઓ વિરોધી ગણાવી તેનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે આ આક્ષેપોને ફગાવીને બિલને જેપીસીને મોકલી આપ્યું હતું. સમગ્ર સત્ર દરમિયાન સીમાંકન (ડિલિમિટેશન) બિલ રજૂ થશે તેવી અટકળો વચ્ચે અંતે તે ગૃહમાં રજૂ પણ ન થઈ શક્યું.
રાજ્યસભા દલિત અપમાન મુદ્દે ધમાલ સાથે સમાપ્ત
લોકસભાની જેમ રાજ્યસભાનું ચોમાસુ સત્ર પણ ટૂંકી કાર્યવાહી બાદ અનિશ્ચિત મુદત માટે સમાપ્ત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ સ્થળનું કથિત “શુદ્ધિકરણ” કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવી તેને દલિત સમાજનું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. હોબાળા વચ્ચે જ રાજ્યસભાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી અને ચોમાસુ સત્રનો અંત આવ્યો હતો.
અધ્યક્ષની ટી પાર્ટીનો વિપક્ષો દ્વારા બહિષ્કાર
સત્ર પૂર્ણ થયા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પરંપરાગત ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ તેમાં હાજર રહ્યા હતા. જોકે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલને બેઠકમાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો, પરંતુ તેમણે આમંત્રણ સ્વીકાર્યું નહોતું. તેના બદલે કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગેને મળવા તેમના કાર્યાલય પહોંચ્યા હતા.
સંસદની અંદર અને બહાર બન્ને પક્ષોના પ્રદર્શન
ચોમાસુ સત્રના અંતિમ દિવસે પણ સંસદ ભવનની અંદર જેટલો હોબાળો જોવા મળ્યો હતો, એટલું જ રાજકીય ઘમાસાણ સંસદ પરિસરની બહાર પણ જોવા મળ્યું હતું. ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ અમિત શાહના રાજીનામા અને રામ મંદિરના ચંદાના મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. બીજી તરફ એનડીએના સાંસદોએ ઝારખંડમાં વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવી વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે અંતિમ દિવસ પણ પરસ્પર આરોપ-પ્રત્યારોપ અને રાજકીય પ્રદર્શનોથી જ છવાયેલો રહ્યો હતો.
