સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાનોને ખવડાવવા પર બેન, રાત્રે 8-9 દૂધની છૂટ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોનો આતંક વધતા તંત્રએ કડક પગલું ભર્યું છે. 300 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં 100થી વધુ શ્વાનોના કારણે વિદ્યાર્થીઓ અને રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ વધતા કુલપતિ ઉત્પલ જોશીએ શ્વાનોને ખોરાક-પાણી આપવા પર પ્રતિબંધના બેનરો લગાવડાવ્યા છે. જોકે માનવતાની રાહે રાત્રે 8થી 9 વાગ્યા સુધી દૂધ પીવડાવવાની છૂટ અપાઈ છે.
શું છે સમગ્ર મામલો?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 300 એકરના વિશાળ કેમ્પસમાં હાલ 100થી વધુ રખડતા શ્વાનો વસવાટ કરે છે. કેમ્પસમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ પણ આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી અનેક વિદ્યાર્થીઓ અને રાહદારીઓને શ્વાનો બચકા ભરતા હોવાની ફરિયાદો વધી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્રએ કેમ્પસમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર સદંતર પ્રતિબંધ મૂકતા બેનરો લગાવ્યા છે.
કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ જણાવ્યું કે, “યુનિવર્સિટી 300 એકરમાં ફેલાયેલી છે અને અહીં 100થી વધારે શ્વાનો વસવાટ કરે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સહિત અનેક રાહદારીઓને શ્વાનો બચકા ભરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમે કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લીધો છે.”
આ પણ વાંચો: આજથી કોમર્શિયલ LPG 183 રૂ. સસ્તો, ઘરેલુ સિલિન્ડરનો ભાવ યથાવત
માનવતાની રાહે રાત્રે દૂધની છૂટ
કુલપતિએ વધુમાં કહ્યું કે, “માનવતાની રાહે રાત્રિના 8થી 9 વાગ્યા સુધી શ્વાનોને દૂધ પીવડાવવા માટેની છૂટ આપવામાં આવી છે.” એટલે કે દિવસ દરમિયાન શ્વાનોને કોઈપણ પ્રકારનો ખોરાક કે પાણી આપી શકાશે નહીં.
ભવિષ્યની યોજના: અલગ ડોગ સેન્ટર બનશે
ઉત્પલ જોશીએ ઉમેર્યું કે, “કોર્પોરેશન સાથે મળીને શ્વાનોના વસાહટ માટે અલગથી ડોગ સેન્ટરની વિચારણા કરવામાં આવશે જેથી શ્વાનોને ત્યાં રાખી શકાય.” આ વ્યવસ્થાથી કેમ્પસમાં શ્વાનોનો ત્રાસ ઘટશે અને શ્વાનોને પણ યોગ્ય આશ્રય મળશે.
હાલ યુનિવર્સિટી તંત્ર દ્વારા કેમ્પસમાં જુદી જુદી જગ્યાએ ‘શ્વાનોને ખોરાક-પાણી આપવા પર પ્રતિબંધ’ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
