ખંભાળિયામાં ૭ ઇંચ, પોરબંદરમાં ત્રણ અને ભાણવડમાં અઢી ઇંચ
જળાશયોમાં આવ્યા નવા નીર : ગરમીમાં રાહત
વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ
હજુ પાંચ દિવસ વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ બેસી તો ગયુ છે પણ તેની ગતિ પ્રમાણે આગળ વધ્યુ નથી. આવા સંજોગો વચ્ચે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આજે સવારથી વરસાદ વરસ્સ્યો હતો. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડ્યો હતો અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ખંભાળિયામાં ૭ ઇંચ, પોરબંદરમાં ત્રણ ઇંચ,ભાણવડમાં અઢી ઇંચ અને રાણાવાવમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ હજુ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. અને તેને કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.
વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થતાં સવારે બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું અને તેને લીધે શહેરના માર્ગો પાણી પાણી થઇ ગયા હતા. બપોર પછી વરસાદનું જોર વધ્યું હતું અને પાંચ વાગ્યા સુધીમાં કુલ ૭ ઇંચ પાણી પડી ગયુ હતું. ભારે વરસાદને લીધે ગ્રામિણ વિસ્તારોમાં ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદને લીધે અસત્ય ગરમી અને બફારો અનુભવતા લોકોને રાહત મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવુ અનુમાન છે.
અમરેલી જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા, લીલીયા, વડીયા, લીલીયાના દુધાળા, જાત્રુડા,સાજન, ટીંબા, અંટાળીયા, ભોરિંગડા, ઈંગોરાલા,મોટા ગોખરવાળા, નાના ગોરખરવાળા, લાપાળીયામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.
પોરબંદરમાં પંથકનાં ખેડૂતોમાં આનંદ, શહેરમાં પાણી ભરાવાની સમસ્યા
કૃષિ માટે સારો, પોરબંદર માટે કઠિન: ત્રણ ઇંચ વરસાદે ખોલી તંત્રની પ્રીમોન્સુન તૈયારીની પોલ
પોરબંદરમાં શનિવારે રાત્રિના જોરદાર વરસાદી ઝાપટું પાડયા બાદ રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. પોરબંદર જિલ્લામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને પગલે રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું હતું તેમજ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ધરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
રાણાવાવ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો તથા કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડયા હતા. પોરબંદર શહેરમાં સવારના ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જેને પગલે એમ.જી રોડ, છાંયા ચોકી રોડ સહિતના મુખ્ય રસ્તા પર તો પાણી ભરાયા હતા પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વીરડી પ્લોટ અને કુંભારવાડા જેવા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં આ વિસ્તારના અનેક મકાનોમાં પાણી ઘુસી જતાં લોકોની ઘરવખરીને પણ નુકશાન થયું હતું. રાણાવાવ તાલુકામાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ભોદ તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતાં વાડી-ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. ઘેડ પંથકના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. જોકે કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા
પોરબંદરમાં વરસાદી ઝાપટાએ પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી
પોરબંદરના વીરડી પ્લોટ અને કુંભારવાડા વિસ્તારમાં ભુગર્ભ ગટરમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં મુશ્કેલી વધી હતી. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસવા લાગતા પાલિકાની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ગટરો ખુલ્લી કરી અને વરસાદી પાણીનો નિકાલ કરવાનું શરૂ કર્યું હતું. પોરબંદર છાંયા નગરપાલિકાની પ્રીમોન્સુનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે