સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી
-સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે
-ઓઇલ કંપનીઓ રોજનું 1,000 કરોડનું નુકસાનનો આલાપ
ખાડીનું યુદ્ધ અટકી ગયા પછી ભારતના પ્રજાજનો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રી હરદીપ પુરીએ ભાવ ઘટાડાનો સંકેત આપ્યો છે.
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા હરદીપ પુરીએ ભારપૂર્વક જણાવ્યું કે, વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભારે અસ્થિરતા હોવા છતાં, ભારત સરકારે સ્થાનિક બજારમાં ઈંધણના ભાવ નિયંત્રણમાં રાખ્યા છે.
ભાવ ન ઘટવાનું કારણ આપતા હરદીપ સિંહ પુરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હાલમાં કંપનીઓ ઊંચા ભાવે ખરીદેલા જૂના સ્ટોકનું પ્રોસેસિંગ કરી રહી છે. આથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો નરમ થવાનો સીધો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો છે કે મધ્ય પૂર્વમાં ભારે તણાવ છતાં ભારતમાં ઈંધણના ભાવ અપેક્ષાકૃત સ્થિર રહ્યા છે. વાસ્તવિક સ્થિતિ જોઈએ તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો વધારો ઝીંકવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: 3.22 લાખ કરોડના નિકાસ સાથે જામનગર દેશમાં નંબર 1
હરદીપ પુરીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના 193 દેશોમાંથી માત્ર જાપાન જ એક એવો દેશ છે જ્યાં ભારત કરતાં પેટ્રોલિયમના ભાવમાં ઓછો વધારો જોવા મળ્યો છે.
રશિયા-યુક્રેન સંકટ અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કુલ વધારો માત્ર 7.60 રૂપિયા સુધી સીમિત રાખવામાં આવ્યો હતો. હરદીપ સિંહ પુરીએ ખુલાસો કર્યો કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના આસમાને પહોંચેલા ભાવોના કારણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ આશરે 1,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવી રહી છે. આમ છતાં, સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે વૈશ્વિક મોંઘવારીનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર ન પડે.
