કર્ણાટકમાં વંદે માતરમના માત્ર બે અંતરા જ ગવાશે: ડી.કે.શિવકુમારની ઘોષણા
કર્ણાટક સરકાર કોંગ્રેસના 1937ના ઠરાવ પર અડગ
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર સરકારી અને જાહેર કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના માત્ર પ્રથમ બે અંતરાઓ જ ગવડાવવાની કોંગ્રેસની નીતિનું પાલન કરશે. સ્વતંત્રતા દિવસના એક કાર્યક્રમમાં ‘વંદે માતરમ’ના તમામ છ અંતરાઓ ગવાયા હોવા અંગે તેમણે કહ્યું કે આ નિર્ણય તેમની જાણ બહાર લેવાયો હતો અને ભવિષ્યમાં સરકાર કોંગ્રેસના 1937ના ઠરાવને અનુસરીને માત્ર બે જ અંતરાઓ ગવડાવશે.
ઇન્ડિયા ટુડે રાઉન્ડટેબલ કાર્યક્રમમાં બોલતાં શિવકુમારે જણાવ્યું કે તેઓ પોતાની પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ રાખે છે અને કોંગ્રેસે જે નિર્ણય લીધો છે તેની સાથે સંપૂર્ણપણે સંમત છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ ભવન જેવા કેટલાક સ્થળોએ અલગ રીતે થયું હોઈ શકે, પરંતુ સરકારી કાર્યક્રમોમાં અગાઉથી અમલમાં રહેલી જ પદ્ધતિ ચાલુ રહેશે.
તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ (CWC) 1937ના ઠરાવને ફરીથી સમર્થન આપતાં જાહેર અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના માત્ર પ્રથમ બે અંતરાઓ ગાવાની ભલામણ યથાવત રાખી હતી. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઘર્ષણ પણ સર્જાયું છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના જજની રાજસ્થાન હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસને હટાવવાની અપીલ
તુષ્ટીકરણની રાજનીતિ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિવકુમારે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ દરેક વર્ગને સાથે લઈને ચાલવાની વિચારધારામાં માને છે, જ્યારે ભાજપ તુષ્ટીકરણની રાજનીતિ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને પ્રદેશો ધરાવતો દેશ છે અને અહીં દરેકનું સન્માન થવું જોઈએ.
સૂર્ય, પાણી અને હવાનો કોઈ ધર્મ નથી હોતો: શિવકુમાર
હિંદુ અને હિંદુત્વ અંગેની ચર્ચા પર પ્રતિભાવ આપતાં ડી.કે. શિવકુમારે કહ્યું કે ભારત વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને પ્રદેશોનો દેશ છે, જ્યાં સૌનું સન્માન કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે સૂર્ય, પાણી, હવા કે છોડ-વૃક્ષોમાં કોઈ ધર્મ હોતો નથી. દરેક વ્યક્તિએ એક જ હવામાં શ્વાસ લેવાનો છે અને એક જ પાણી પીવાનું છે. તેથી કુદરતી તત્ત્વોને ધર્મના ચશ્માથી જોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
