પડોશી દેશમાં સર્જાયેલી કુદરતી આફતની સીધી અસર ભારતના સરહદી વિસ્તારો પર: તંત્ર એલર્ટ મોડ પર
પ્રકૃતિ ક્યારે કેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે તેનો કોઈ ભરોસો નથી. પડોશી દેશ નેપાળમાં અચાનક ફાટી નીકળેલી જળપ્રલય જેવી સ્થિતિએ હવે ભારતની સરહદ પર પણ ચિંતાના વાદળો ઘેરાયા છે, જેના કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્ર સાવચેત થઈ ગયું છે.
ત્રિશૂલી નદીનું વઘતું જળસ્તર અને ગ્લેશિયર તૂટવાની આશંકા
ભારત-નેપાળ સરહદથી આશરે ૧૬૦ કિલોમીટર દૂર આવેલા નેપાળના ફુર્કે ખોલા વિસ્તારમાં ત્રિશૂલી નદીનું જળસ્તર એકાએક ખૂબ જ ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. નેપાળ-ચીન બોર્ડર પાસે કોઈ ગ્લેશિયર તૂટવાને કારણે આ ભારે જળપ્રલય સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘાતક પ્રવાહ હવે ધીમે-ધીમે ગંડક નદી તરફ આગળ વધી રહ્યો છે, જેના લીધે બિહારના નીચાણવાળા વિસ્તારો પર ખતરો તોળાઈ રહ્યો છે.
નેપાળના રસુવામાં ભારે તબાહી અને નુકસાન
નેપાળના રસુવા જિલ્લામાં સવારે તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનું પૂર આવતા ભયાનક તબાહી મચી ગઈ છે. ત્યાંના ટીમૂરે બજાર તેમજ આસપાસના વિસ્તારોમાં અનેક ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો પાણીમાં ધોવાઈ ગયા છે. બેત્રાવતીથી રસુવાગઢી બોર્ડર સુધીનો આશરે ૪૨ કિલોમીટર લાંબો મહત્વનો માર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં નેપાળી સેના અને સુરક્ષા દળો દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બિહારના ૬ જિલ્લાઓમાં હાઈ એલર્ટ અને એસએસબીની તૈનાતી
સંભવિત પૂરના જોખમને પહોંચી વલવા માટે બિહારના ૬ જેટલા સંવેદનશીલ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગંડક બેસિનના પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, વૈશાલી તેમજ કોસી બેસિનના સુપૌલ, સહરસા, મધેપુરા અને અરરિયા જિલ્લાઓમાં સતત નજર રાખવામાં આવી રહી છે. સરહદ પર સુરક્ષા માટે સશસ્ત્ર સીમા બળ (SSB) ની ૧૧ બચાવ ટીમોને ગ્રાઉન્ડ પર ઉતારી દેવાઈ છે અને અન્ય ૭ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
નદીઓનું પહેલેથી જ ઊંચું જળસ્તર અને ગંડક બેરેજ પર વિશેષ નજર
બિહારમાં અગાઉથી જ ગંગા, કોસી અને ગંડક જેવી નદીઓનું પાણી ભયજનક સપાટીની આસપાસ વહી રહ્યું છે. ગંગા નદીના વધેલા પાણી સુલતાનગંજ સ્થિત નમામિ ગંગે ઘાટ સુધી પહોંચી ગયા છે. આવી નાજુક સ્થિતિમાં નેપાળ તરફથી આવનારા વધારાના પાણીને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ગંડક બેરેજના દરવાજા યોગ્ય રીતે ઓપરેટ કરવાના કડક આદેશો આપવામાં આવ્યા છે, જેથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ન સર્જાય.
નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આપત્તિએ ઉત્તર ભારતના સરહદી રાજ્યોની ચિંતા વધારી દીધી છે. જોકે, પ્રશાસન અને સુરક્ષા દળોની સજ્જતાથી કોઈ પણ મોટી દુર્ઘટનાને ટાળવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ આગામી સમય હવામાનની સ્થિતિ પર જ નિર્ભર રહેશે.
