બજેટમાં નાણામંત્રી નિર્મલા શું નવી જાહેરાતો કરી શકે ? વાંચો
બજેટ : દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન જાહેર થઈ શકે છે
સોલાર પેનલ અને ઈન્વર્ટર પરનો જીએસટી દર ઘટવાની આશા : 3 થી 4 નવા ઈકોનોમિક કોરિડોરના એલાન થવાની સંભાવના
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કેન્દ્રીય બજેટમાં આ વખતે નાણામંત્રી નિર્મલા અનેક નવી જાહેરાતો કરી શકે છે. દેશની પ્રથમ સ્લીપર વનડે ભારત ટ્રેન ચલાવવાની પણ તેઓ જાહેરાત કરશે. સરકારના સૂત્રોએ આપેલી માહિતી મુજબ નાણામંત્રી 3 થી 4 નવા ઈકોનોમિક કોરિડોરનું એલાન પણ કરી શકે છે. સમાજના નાના વર્ગ માટે પણ રાહતો જાહેર કરવાની તૈયારી થઈ રહી છે.
આ ઉપરાંત લોકોને અને વેપારીઓને રાહત આપવા માટે સોલાર પેનલ અને ઈન્વર્ટર પરના જીએસટીના દરોમાં ઘટાડાની જાહેરાત થવાની આશા પ્રબળ બની છે. દેશમાં વર્ષે 100 ગીગાવોટ સોલાર પાવરનું ઉત્પાદન થાય છે જેની કિમત રૂપિયા અઢીથી ત્રણ લાખ કરોડ જેટલી હોય છે. આમ 3 વર્ષમાં ઉત્પાદન ડબલ કરવાની પણ સરકારની ગણતરી છે.
દરમિયાનમાં નાણામંત્રી કોલ અને મિનરલ માટે પણ અલગ કોરિડોર બનાવવાનું એલાન કરી શકે છે. સાથોસાથ દેશની પ્રથમ સ્લીપર વનડે ભારત ટ્રેન ઉપરાંત બુલેટ ટ્રેનના નવા રૂટ્સની પણ જાહેરાત કરવાના ચક્રો ગતિમાન થયા છે. એ જ રીતે રેલવે સ્ટેશન રીડેવેલપમેન્ટ અને ગતિશક્તિ મિશનને પણ બજેટમાં પ્રાથમિકતા મળી શકે છે.
સરકારના સૂત્રોએ એવો સંકેત પણ આપ્યો હતો કે નાણામંત્રી રેલવેને લગતી મહત્વની જાહેરાતો કરવા સાથે અમૃત ભારત ટ્રેનોની સંખ્યા વધારી શકે છે અને તેના માટે જંગી ફાળવણી કરી શકે છે. આ માટે સરકારને અનેક સૂચનો કરાયા હતા અને તે પૈકીનાં કેટલાક સૂચનો પર અમલ કરવાની સરકારની ઈચ્છા છે.
કેટલાક વધારાના કોરિડોર બનાવવા માટે સરકારને સૂચનો થયા હતા અને તેના પર નાણામંત્રી અને વડાપ્રધાને મંથન કર્યું હતું અને હવે બજેટમાં તે અંગે મોટી જાહેરાત કરવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે.