તમારા સંતાનને મોબાઈલની આદત પડી ગઈ છે ? અભ્યાસમાં મન નથી ચોટતું ?
જૂના જમાનામાં આપણે રમકડાં સાથે રમવાનું પસંદ કરતા હતા, પરંતુ સમય બદલાયો અને નવી ટેક્નોલોજીએ બાળકોના હાથોમાં રમકડાંને બદલે સ્ક્રીન આપી દીધી. સ્માર્ટફોન, ટીવી, લેપટોપ જેવા ગેજેટ્સ સ્માર્ટ જરુર છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ દરેક રીતે બાળકો માટે નુકસાનકારક જ માનવામાં આવે છે. સ્ક્રીન ટાઈમ વધવાથી બાળકો સ્થૂળતા, ડિપ્રેશન, નબળી દ્રષ્ટિ, નર્વસ સંબંધિત ફરિયાદો વગેરેનો શિકાર થઈ જાય છે. એક સમય એવો પણ આવે છે જ્યારે સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે બાળકો સ્ક્રીન એડિક્ટ બની જાય છે. જોકે, આમાં બાળકો કરતાં વધારે માતા-પિતાની ભૂલ હોય છે. માતા-પિતા બાળકોને સ્ક્રીન તો આપી દે છે પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવતા નથી અને પોતે પણ કરતા નથી, તેની નકારાત્મક અસર બાળકો પર પડે છે.

ફોનનો ઉપયોગ કરવો
જો તમે પોતે જ ફોનનો વધુ ઉપયોગ કરો છો, તો પછી તમે તમારા બાળકોને તેનાથી કેવી રીતે દૂર રાખી શકશો? કારણ કે તમને જોઈને જ બાળકો સારી અને ખરાબ ટેવો શીખશે. જો તમે પોતે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો અથવા તમારા બાળકોની સામે ફોનનો ઉપયોગ કરો છો તો બાળકો પણ આવું જ કરશે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે બાળકો ફોનથી દૂર રહે છે, તો તેમને ફોન આપવા માટે એક સમય નક્કી કરો. જ્યારે બાળકો તમારી આસપાસ હોય ત્યારે તેમને સમય આપો અને ફોનને બાજુ પર રાખી દો.
જીદ કરે તો ફોન આપવો
એક્સપર્ટ્સનું માનીએ તો બાળકોને કોઈ પણ વસ્તુથી દૂર રાખવા માટે તેમને લાલચ આપવી યોગ્ય નથી. જોકે, મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને કંટ્રોલમાં રાખવા માટે આ રીતો અજમાવે છે. માતા-પિતા બાળકોની જીદ પુરી કરવા માટે તેમને ફોન વાપરવા માટે આપી દે છે. જોકે, આમ કરવાથી બાળકો જીદ્દી બની જાય છે અને વાત પણ સાંભળતા નથી. એટલા માટે તેમને સ્ક્રીનના કારણે થતા નુકસાન વિશે જણાવો. તમારી વાતને મનાવવા માટે બાળકોને લાલચ બિલકુલ પણ ન આપો. સ્ક્રીન પર વધુ સમય વિતાવવાના કારણે બાળકો પર નકારાત્મક અસર પડી શકે છે.
કોઈ એક્ટિવિટી ન કરાવવી
માતા-પિતા બાળકોથી કંટાળી જાય, ત્યારે તેમના હાથમાં ફોન આપી દે છે અથવા ટીવી ચાલુ કરી દે છે, પરંતુ આ આદત સારી નથી તેના કારણે બાળકોની આંખો પર ખરાબ અસર પડે છે. ફોનનો ઉપયોગ કરવાને બદલે તમે બાળકોને ઘરમાં જ એક્ટિવિટીઝ કરાવો. આ સિવાય તમે ઈચ્છો તો બાળકોને એવી મેમરી ગેમ્સ રમાડી શકો છો જેનાથી તેમના મગજનો વિકાસ થાય.
બાળકોને સમય ન આપવો
જ્યારે માતા-પિતા બાળકોને સમય ન આપે, ત્યારે પણ તેઓ તેમનો સમય પસાર કરવા માટેના રસ્તા શોધી લે છે. પરંતુ યોગ્ય પેરેન્ટિંગ એ જ છે જેમાં તમે બાળકોને સમય આપો. તે સારા ઉછેરની તરફ પહેલું પગલું હોય છે. બાળકોને જો તમે સમય નહીં આપો તો તેઓ આવી આદતોનો શિકાર બની જશે જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માતા-પિતાના સમય ન આપવાને કારણે જ બાળકો મોબાઈલ ફોન વગેરેના વ્યસની બની શકે છે.