મધ્ય-પૂર્વ યુધ્ધમાં અત્યાર સુધી 16 ભારતીયોના મૃત્યુ: 75 ઘાયલ થયા
સરકારે સંસદમાં આપી માહિતી; અલગ અલગ દેશોમાં હુમલાઓમાં ભારતીયો ભોગ બન્યા;
મધ્ય -પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં એક મોટો ખુલાસો કર્યો છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે મિડલ ઇસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 16 ભારતીય નાગરિકોના મોત થયા છે. જેમાં 10 નાવિકો સામેલ છે. આ ઉપરાંત 75 ભારતીયો ઘાયલ પણ થયા છે. સીપીઆઈ-એમ સાંસદ જોન બ્રિટાસના સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, મૃતકોમાં સાઉદી અરેબિયામાં 1, કુવૈતમાં 2, ઓમાનમાં 8, ઇરાકમાં 1 અને યુએઈમાં 4 ભારતીય નાગરિક સામેલ છે. જ્યારે ઘાયલોમાં યુએઈમાં 32, ઓમાનમાં 24, કતરમાં 4, કુવૈતમાં 13, સાઉદી અરેબિયામાં 1 અને ઇઝરાયલમા 1 ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક અલગ દુર્ઘટનામાં કતરના રાસ લફાન ગેસ પ્લાન્ટમાં 12 ભારતીયોના મોત થયા છે, જેનો સીધો સંબંધ યુદ્ધના હુમલાઓ સાથે નથી.
સરકારે જણાવ્યું કે યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા નાવિકોના પરિવારજનોને ડીજીએમએ વેલફેર સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત યુનિયન સાથે જોડાયેલા નાવિકોને વધારાનું વળતર પણ મળે છે. જેમાં અધિકારીઓને 12 લાખ અને ક્રૂ મેમ્બર્સને 10 લાખ રૂપિયા સુધીની સહાય સામેલ છે. ફેબ્રુઆરી 2026 થી અત્યાર સુધી ભારતીય દૂતાવાસ દ્વારા ઈરાનથી 2557 ભારતીયોને આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સરકારના અંદાજ મુજબ ઈરાનમાં હજુ પણ અંદાજે 7000 ભારતીયો હાજર છે, જેમાં વિદ્યાર્થીઓ, મજૂરો અને માછીમારો સામેલ છે.
ભારતીયો માટે અનેક રીતે હેરાનગતિ વધી ગઈ હતી
દુબઈની ઈરાની હોસ્પિટલમાં કામ કરી રહેલા 130 થી વધુ ભારતીયો, ખાસ કરીને કેરળના સ્વાસ્થ્યકર્મીઓને વીઝા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સ્થાનિક સરકારે આ હોસ્પિટલ બંધ કરી દીધી છે. સરકાર દ્વારા આ ગંભીર મામલો રાજદ્વારી સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. અન્ય એક ઘટનામાં અમેરિકામાં ‘ઓપરેશન ચેકમેટ’ હેઠળ મે મહિનામાં ૫૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 36 ટ્રક ડ્રાઇવરો હતા અને 30 ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું છે. સરકાર આ અંગે અમેરિકી પ્રશાસન પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી રહી છે.
