મુસ્લિમ મહિલાઓ અંગે સુપ્રીમ કોર્ટે શું મહત્વનું ફરમાન કર્યું ? જુઓ
સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વના ફરમાનમાં કહ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા પણ સીઆરપીસીની કલમ 125 હવે બીએનએસએસ ની કલમ 144 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. તે આ માટે અરજી દાખલ કરી શકે છે. આવા મામલામાં ધર્મ ક્યાંય વચમાં આવતો નથી. કોઈ પણ વિવાહિત મહિલા અલગ થવાની સ્થિતિમાં પતિ પાસેથી ગુજારો માંગી જ શકે છે. મુસ્લિમ મહિલા પણ પતિ સાથે તલાક થયા બાદ ગુજારાની હકદાર છે . ગુજારો આપવો કોઈ ચેરિટી નથી પણ મહિલાનો અધિકાર છે. હવે સીઆરપીસીના સ્થાને બીએનએસએસની કલમ 144 લાગુ થઈ છે તેમાં સીઆરપીસી કલમ 125 જેવી જ જોગવાઈ છે.
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે મુસ્લિમ યુવકની અરજીને ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986 બિનસાંપ્રદાયિક કાયદાને ઓવરરાઇડ કરશે નહીં. મુસ્લિમ યુવકે તેલંગણા હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે અમે અપીલને એ નિષ્કર્ષ સાથે ફગાવી રહ્યા છીએ કે કલમ 125 માત્ર પરિણીત મહિલાઓને જ નહીં પરંતુ તમામ મહિલાઓને લાગુ પડશે.
બેન્ચે પૂછ્યું કે શું અરજદારે ઇદ્દતના સમયગાળા દરમિયાન પત્નીને કંઈ ચૂકવ્યું હતું? તેના પર અરજદારે કહ્યું- 15,000 રૂપિયાનો ડ્રાફ્ટ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ પત્નીએ લીધો ન હતો. છૂટાછેડા પછી ઇદ્દત એ સમયગાળો છે જ્યારે પત્નીને કોઈની સાથે લગ્ન કરવાની અથવા કોઈની સાથે સંબંધ રાખવાની મંજૂરી નથી.
1 જુલાઇથી સીઆરપીસીના સ્થાને બીએનએસએસ દેશમાં લાગુ થઈ ગયું છે. બીએન એસએસ કલમ 144 એ જ જોગવાઈઓ ધરાવે છે જે સીઆરપીસીની કલમ 125 માં હતી.
જાણો શું છે કલમ 125
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (હવે BNSSની કલમ 144) ની કલમ 125 માં ભરણપોષણની જોગવાઈ છે. આ મુજબ, કોઈપણ વ્યક્તિ કે જેની પાસે પોતાનું ભરણપોષણ કરવા માટે પૂરતું સાધન છે તે તેની પત્ની, બાળકો અને માતાપિતાને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકે નહીં.
અબ્દુલ સમદ નામના યુવકે ફેમિલી કોર્ટના મહિને રૂપિયા 20 હજાર આપવાના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં તેની રકમ ઘટાડીને રૂપિયા 10 હજાર કરવામાં આવી હતી. ત્યારબાદ યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ અપીલ ફગાવી દીધી હતી.