ખાનગી હોસ્પિટલો અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ
સુપ્રીમકોર્ટે દેશની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા ભારે ચાર્જ સામે લાલ આંખ કરતા સરકારને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. એક એનજીઓ દ્વારા આ બારામાં દાખલ થયેલી પીઆઈએલ પર સુનવણી દરમિયાન અદાલતે કેટલીક સૂચનાઓ કેન્દ્રને આપી હતી. અદાલતે કહ્યું હતું કે રેટ ફિક્સ થવા જોઈએ નહિતર અમારે નિયમો ઘડવા પડશે. સીજીએચએસવાળા નિયમો દાખલ કરવા પડશે.
નોંધનીય છે કે નિયમો હેઠળ, રાજ્યો સાથે કાઉન્સેલિંગ કર્યા પછી મેટ્રોપોલિટન શહેરો, શહેરો અને નગરોમાં રોગોની સારવાર અને ઉપચાર માટે માનક દરોની સૂચના જારી કરવી ફરજિયાત છે.
સરકારે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતં કે ‘સરકારે આ મુદ્દે રાજ્યોને ઘણી વખત પત્ર લખ્યો છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.’ આ મામલે કોર્ટે કહ્યું કે ‘નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય સંભાળવાનો મૂળભૂત અધિકાર છે અને કેન્દ્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.’ આ ઉપરાંત કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને રાજ્યના આરોગ્ય સચિવો સાથે એક મહિનાની અંદર બેઠક કરીને માનક દરોની સૂચના જારી કરવા માટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે તો અમે સમગ્ર દેશમાં દર્દીઓની સારવાર માટે CGSH- નિયત સરકારી દરો લાદવાની અરજદારની અરજી પર વિચાર કરીશું.’ ઉલ્લેખનીય છે કે દરેક નાગરિક માટે આરોગ્યની સંભાળ એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે પરંતુ ખાનગી હોસ્પિટલો મનસ્વી રીતે ફી વસૂલી રહી છે, જેના કારણે દર્દીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
એનજીઓ દ્વારા પીઆઈએલ
એક ‘વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઈફ’ નામની એનજીઓએ વકીલ દાનિશ ઝુબેર ખાન દ્વારા પીઆઈએલ દાખલ કરી છે. જેમાં, કેન્દ્રને ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) નિયમ, 2012’ના નિયમ 9 મુજબ દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો દર નક્કી કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ નિયમ હેઠળ, તમામ હોસ્પિટલોએ તેમના સર્વિસ ચાર્જ વિશે સ્થાનિક ભાષા તેમજ અંગ્રેજીમાં માહિતી આપવાની રહેશે.
