મંદિરો નજીકના વેપારીઓએ ‘ઓમ સર્ટિફિકેટ’ રાખવા પડશે :હિન્દુ મંદિરોમાં હિન્દુ કર્મચારી જ હોવા જોઈએ
હવે વીર સાવરકરના પૌત્ર પણ મેદાનમાં ઉતર્યા
વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે મંદિર પરિસર અને મંદિરની આસપાસના વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓએ ‘ ઓમ સર્ટિફિકેટ ‘ રાખવું પડશે તેવું ફરમાન કર્યું હતું. તેમણે હિન્દુ મંદિરોમાં માત્ર હિન્દુ કર્મચારીઓજ રાખવાની હિમાયત કરી હતી.
શેરડીના શ્રી સાઈ પાલખી નિવારા ખાતે મળેલી બેઠકમાં
તેમણે આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં 875 મંદિરના ટ્રસ્ટીઓ, પ્રતિનિધિઓ, પૂજારીઓ, શિક્ષણવિદો,અને મંદિરોના રક્ષણ માટે લડતા વકીલો ઉપસ્થિત રહ્યા હતા.રણજીત સાવરકારે કહ્યું કે હાલમાં હલાલ સર્ટિફિકેટ દ્વારા ધાર્મિક વગ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેના સામના માટે તેમના અધ્યક્ષ પદ હેઠળના સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ દ્વારા ‘ઓમ સર્ટિફિકેટ’ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
મંદિર પરિસર નજીક ધંધો કરતા હિન્દુ વેપારીઓએ એ સર્ટિફિકેટ બધાને દેખાય તે રીતે રાખવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. એક મહિના પહેલા એ સર્ટીફીકેટ ઇસ્યુ થઈ ગયા હોવાની માહિતી તેમના આપી હતી.તેમણે વધુમાં કહ્યું કે હિન્દુ મંદિરોમાં માત્ર હિન્દુ કર્મચારીઓ જ હોવા જોઈએ અને તે માટે તેમના ટ્રસ્ટ દ્વારા હિન્દુ વર્કફોર્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
હિન્દુ દેવી-દેવતાઓને ન માનતા લોકો મંદિરમાં ધંધો કરે છે
રાષ્ટ્રીય મંદિર સંગઠનના કોઓર્ડીનેટર સુનિલ ઘનવટે કહ્યું કે જે લોકો હિન્દુ દેવી-દેવતાઓને માનતા નથી તેમની મંદિરોમાં દુકાનો છે અને તે લોકો મંદિરમાં ચઢાવવા માટેના ફૂલ અને પૂજાપાની સામગ્રીનું વેચાણ કરે છે. ઉપરાંત આ લોકો ‘ થુંક જિહાદ ‘ ચલાવે છે કેવો આક્ષેપ કરી તેમણે કહ્યું કે હવે પછી ગામડાઓમાં થતા મેળાઓમાં અન્ય ધર્મના લોકોને દુકાનો માટે મંજૂરી આપવામાં ન આવે તે સુનિશ્ચિત કરવું પડશે.
સો મંદિરોમાં ડ્રેસ કોડ માટેનું સૂચન
રણજીત સાવરકરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 108 મંદિરોમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ની જાણકારી માટે બોર્ડ લગાવવાના, સો મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવાના અને મંદિરોમાં સાંસ્કૃતિક શિક્ષણ શરૂ કરવાના સૂચનો થયા હતા.