ગમે ત્યાં બોર્ડ-બેનર લગાવતાં પહેલાં વિચારજો, મિલકત સીલ થવા સુધીની ‘નોબત’ આવશે! RMC દ્વારા 10 લોકોને નોટિસ ફટકારવામાં આવી
એક બાજુ રાજકોટના બ્યુટિફિકેશનની વાતો ચાલતી હોય છે અને બીજી બાજુ શહેરના રાજમાર્ગો, સર્કલ, ડિવાઈડર, થાંભલા સહિતની જગ્યાએ તંત્રની પરવાનગી લીધા વગર જ પોતાના ધંધા તેમજ પ્રોડક્ટની જાહેરાત કરતા નાના-મોટા બોર્ડ-બેનર લગાવી દેવાનો કિમિયો છેલ્લા ઘણા સમયથી અજમાવાઈ રહ્યો હોય હવે તંત્ર દ્વારા આવા કિમિયાગરો સામે મિલકત સીલ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.
દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોતાની જાહેરાતના બોર્ડ-બેનર-પોસ્ટર લગાવનાર હેતલ હેપી હોમ, આત્મન પ્રિ-સ્કૂલ, હરિકૃષ્ણ સિટી, હોટેલ વીબી ઈન, જે.જે.ટ્યુટોરિયલ્સ, સેન્ચુરી રિગાલિયા, જય ગણેશ ટોયોટા, અર્બન વિવાહ, જે.ડી.મોલ અને જતન ઈન્ડસ્ટ્રીઝ મળી કુલ દસ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે દબાણ હટાવ અધિકારી કેપ્ટન પી.જે.બારિયાએ જણાવ્યું કે આ તમામને નોટિસ ફટકારી દસ દિવસમાં દંડ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :હું તારી બહેન સાથે વાત કરું તો કેવું લાગે? રાજકોટમાં દિન દહાડે પ્રેમસંબંધમાં યુવકની હત્યાઃ યુવતીના ભાઇએ જ છરીના ઘા ઝીંકી પતાવી દીધો
સમયમર્યાદામાં આસામી દ્વારા દંડ ભરવામાં આવશે તો તેની પાસેથી 20 હજારથી લઈ 40 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે. જો કે દંડ વસૂલાતમાં કેટલા બોર્ડ-બેનર-પોસ્ટર લગાવ્યા છે તેની ગણતરી મહત્ત્વની બની જતી હોય તેના આધારે કાર્યવાહી કરાશે. જો નોટિસની સમયમર્યાદા બાદ દંડ નહીં ભરવામાં આવે તો વસૂલાતની જવાબદારી ટેક્સ બ્રાન્ચને સોંપવામાં આવશે. ટેક્સ બ્રાન્ચ દ્વારા જે-તે આસામીની ઓફિસ પર જઈને વ્યાજ સાથે રકમ વસૂલ કરાશે છતાં પણ દંડ નહીં ભરાય તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. એકંદરે કોઈ પણ આસામી મંજૂરી લીધા વગર બોર્ડ-બેનર કે પોસ્ટર ન લગાવે તે જ હિતાવહ છે.
