વડાપ્રધાનને પરમાત્માએ મોકલ્યા છે તે વાત સ્વાર્થી અને જુઠા પક્ષો સમજી નહીં શકે: ચિરાગ
ભાજપના સમર્થક અને એનડીએમાં સામેલ પક્ષ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને વડાપ્રધાનના પરમાત્મા અંગેના નિવેદન બારામાં વિપક્ષની ટીકા પર હુમલો કર્યો હતો અને કોંગ્રેસ સહિતના પક્ષોના નામ લીધા વિના જવાબ આપ્યો હતો.
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના અધ્યક્ષ અને યુપીના હાજીપુરથી ઉમેદવાર પાસવાને બુધવારે કહ્યું કે વડાપ્રધાન મોદીને ભગવાને દેશના 140 કરોડ લોકોની મદદ માટે મોકલ્યા છે પણ આ વાત એ લોકો નહીં સમજી શકે જેમણે ગરીબો માટે કંઈ નથી કર્યું. તેમણે કહ્યું કે એવા લોકો નહીં સમજે જે ગરીબી હટાવોના નારા તો આપતા રહ્યા પણ ગરીબી હટાવવી તો દૂર ગરીબોને હટાવવા માટે રણનીતિઓ બનાવવાની શરૂઆત કરી દીધી.
ચિરાગ પાસવાને આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે મોદીએ જ કહ્યું હતું કે ભગવાને તેમને એક ખાસ ઉદ્દેશ્ય માટે મોકલ્યા છે. તેમને 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મોકલાયા છે. તેમના આ નિવેદન પર વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. જેના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે મોદીને ભગવાને નહીં પરંતુ અદાણી અને અંબાણીએ મોકલ્યાં છે. કટાક્ષમાં તેજસ્વીએ એમ પણ કહ્યું કે અમને પણ ભગવાને જ મોકલ્યા છે.