રાહુલ અને પ્રિયંકાએ કરી ભાજપની ટીકા : ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન જીતશે
‘ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર હુમલો મારી વાત સાચી સાબિત કરે છે’
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કરતા હિન્દુત્વ અંગે થઇ રહેલા રાજકારણનો ઉલ્લેખ કર્યો હતો, જે બાદ લોકસભામાં NDAના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. ભાજપે દેશમાં ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદદ્વારા અમદાવાદમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય રાજીવ ભવન ખાતે તોડફોડ કરવામાં આવી હતી, ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ફરી ભાજપ પર પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પરનો હુમલો કાયરતાપૂર્ણ કૃત્ય હતું, અને આ ઘટનાથી સત્તાધારી પક્ષ ભાજપ વિશેની તેમની વાત સાબિત કરી હતી. રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે INDIA ગઠબંધન રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનશે.
રાહુલ ગાંધી હિંદુ ધર્મ પરની તેમની ટિપ્પણી પર કાયમ રહ્યા, તેમણે કહ્યું કે હિંસા ફેલાવનારા ભાજપના લોકો ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા દાવાને સમર્થન આપે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજી શકતા નથી.”
રાહુલ ગાંધીએ કહ્યું કે “ગુજરાતના લોકો તેમના(ભાજપના) જુઠ્ઠાણા સ્પષ્ટપણે જોઈ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું – ગુજરાતમાં INDIA ગઠબંધન જીતવા જઈ રહ્યું છે!”
રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાજપને ઘેરી હતી, તેમણે એક X પોસ્ટમાં લખ્યું કે ગુજરાતમાં RSS-BJPના લોકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું હતું તે ભાજપે સાચું સાબિત કર્યું છે કે તેઓ માત્ર હિંસા અને નફરતની રાજનીતિ કરે છે. ગુજરાતની જનતા સમય આવ્યે ભાજપને ચોક્કસ પાઠ ભણાવશે.
સંસદમાં રાહુલ ગાંધીની ટિપ્પણીના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. પાર્ટીના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે આ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, બજરંગ દળ અને વીએચપી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.