કપાતર દીકરો : બાળકોને મળવાના બહાને જનેતાનું જ કારમાં અપહરણ કરીને પુત્રએ માર માર્યો
રાજકોટમાં જામનગર રોડ પર વર્ધમાનનગર સોસાયટી શ્રીરામ બંગ્લોઝમાં રહેતા નિવૃત્ત એસઆરપી કર્મચારીના પુત્ર સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ કપાતર બનીને માતાનું જ કારમાં અપહરણ કરી, માર મારી રસ્તા વચ્ચે ઉતારી દઈને નાસી છૂટ્યાની ઘટનામાં માતા ઘુપતબાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બનાવના પગલે પોલીસ સ્ટાફમાં આરોપી પ્રત્યે ભારે રોષ હતો અને કાયદાનું ભાન કરાવાયું હતું.
ફરિયાદની વિગતો મુજબ આરોપી સંજયરાજસિંહ ચાર વર્ષથી અલગ રહે છે, ત્રણ સંતાનો છે. પત્નીનું આશરે 10 માસ પૂર્વે અવસાન થયું હતું. તેના ત્રણ સંતાનો વંશીકાબા (ઉં.વ.9), કર્મરાજસિંહ (ઉ.વ.6) દાદા-દાદી (ધ્રુપતબા તથા મહેન્દ્રસિંહ) સાથે રહે છે. છ વર્ષની પુત્રી કાવ્યાબા સંજયરાજસિંહના સાળા શક્તિસિંહ બળવંતસિંહ જાડેજા સાથે રતનપરમાં રહે છે. સંજયરાજ પીવાની ટેવવાળો હોવાથી અલગ જ રહે છે.
ગઈકાલે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં કપાતર બનીને સંજયરાજસિંહ ઘરે આવ્યો હતો. માતાને કહ્યું કે હું મારા પિતા સાથે તેમની ઓફિસે ઝઘડો કરીને આવ્યો છું. પિતાને કહેજો મારા વિરૂધ્ધમાં ફરિયાદ ન કરે. માતાએ પુત્રને આવી રીતે ઝઘડો ન કરાય કહી સમજાવવા પ્રયાસ કર્યો હતો.
ઉશ્કેરાઈને કહેવા લાગ્યો કે મને રોજેરોજ ખર્ચો નહીં આપો તો તમારા તમામનું જીવવાનું હરામ કરી દઈશ. મને મારા બાળકોને કેમ મળવા દેતા નથી, મને બન્ને બાળકો સોંપી દો. જેથી માતા ધ્રુપતબાએ તારૂ કોઈ ઠેકાણું નથી, તું એકલો ગમે ત્યાં નશાની હાલતમાં પડ્યો રહે છે જેથી છોકરાની કાળજી કોણ રાખશે ? મારે તારા જેવા સંસ્કાર છોકરાવમાં પડવા દેવા નથી કહેતા સંજયરાજસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો. બાળકોને મળવા જવાની જીદ કરતાં માતાએ બાળકો સ્કૂલે ગયા છે, ચા ચાલ આ વખતે આજનો દિવસ મળી લે પછી ઘરે આવતો નહીં કહ્યું હતું.
બન્ને બાળકોને મળવાના નામે માતાને આરોપી તેની જીજે-૦3-એનપી-0408 નંબરની સ્કોર્પિયો કારમાં બેસાડીને લઈ જતો હતો એ સમયે માતાએ તેને પિતા સાથે ઝઘડો ન કરવા સમજાવવા પ્રયાસ કર્યો હતો જેથી ઉશ્કેરાઈને માતાને કારમાં ફડાકો મારી દીધો અને કાર સ્કૂલે લઈ જવાના બદલે જામનગર રોડ તરફ ચલાવવા લાગતા ધ્રુપતબાએ પતિ મહેસિંહને ફોન કર્યો અને બનાવની જાણ કરી હતી જેથી સંજયરાજ વધુ ઉશકેરાયો હતો. બાળકોને નહીં મળવા દે તો ઘરના તમામ સભ્યોને મારી નાખીશ કહી ધમકી આપવા લાગ્યો હતો.
કપાતર પુત્રથી ડરી ગયેલી માતા ધ્રુપતબાએ પતિ મહેન્દ્રસિંહને ફરી ફોન લગાવતા આરોપીએ ફોન પડાવી લીધો હતો અને રસ્તામાં ફેંકી દીધો હતો. કારમાં ધ્રુપતબા બૂમાબૂમ કરવા લાવ્યા હતા જેથી આરોપીએ માતાને વચલી ઘોડી નજીક સીમમાં રસ્તામાં ઉતારી દીધી હતી અને નાસી ગયો હતો. પ્રૌઢા ત્યાંથી અન્ય ભાડાની કારમાં રાજકોટ પહોંચ્યા હતા. પતિનો, પુત્રીનો સંપર્ક કર્યો હતો. બાદમાં ત્રણેય પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી કળયુગી શ્રવણ જેવા કપાતર પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. યુનિવર્સિટી પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.