રાજકોટ એરપોર્ટ પર આ તારીખ સુધી નહીં આવે ઈન્ડિગોની ફ્લાઈટ : 15મે સુધી એરપોર્ટ બંધ, તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા આદેશ
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ પળે-પળે વકરી રહ્યો છે જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી હવાઈ સહિતની અનેક સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. ખાસ કરીને સરકાર દ્વારા દેશના અલગ-અલગ એરપોર્ટને હાઈએલર્ટ મોડ ઉપર મુકીને મુસાફરોની અવર-જવર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રાજકોટ પણ સમાવિષ્ટ હતું. દરમિયાન ગુરૂવારે રાત્રે બન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી જતાં એરલાઈન્સ દ્વારા પણ ઉડાન રદ્દ કરવામાં આવી હતી જે સિલસિલામાં ઈન્ડિગો એરલાઈન્સે 22 મે સુધી રાજકોટ સહિતના એરપોર્ટ ઉપર ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. બીજી બાજુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 15 મે સુધી બંધ રાખવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી.
સાવધાનીના ભાગરૂપે રાજકોટ, કંડલા, કેશોદ, ભૂજ સહિતના એરપોર્ટને તા.7થી 9 મે સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો જે હજુ પણ યથાવત હોય આજે પણ એરપોર્ટ ઉપરથી સિવિલ ફ્લાઈટ ઓપરેશન બંધ રહેશે. બીજી બાજુ ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 22 મે સુધી રાજકોટ સહિતના એરપોર્ટ ઉપર ફ્લાઈટનું સંચાલન બંધ રાખવાનું જાહેર કરી દેવામાં આવ્યા બાદ એર ઈન્ડિયા દ્વારા પણ આજે 10 મેએ રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન બંધ રાખવામાં આવ્યું હતું.
બીજી બાજુ એરપોર્ટ ઉપર ફરજ બજાવતાં તમામ સ્ટાફને સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી સ્ટેન્ડ બાય રહેવા માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ ઉપર દરરોજ 12 ફ્લાઈટનું સંચાલન થઈ રહ્યું છે અને દરરોજ 3200થી વધુ મુસાફરો અહીંથી અવર-જવર કરી રહ્યા છે. જો કે જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી એરપોર્ટ કે ફ્લાઈટનું સંચાલન શરૂ ન થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી.