દેશમાં સાયબર ક્રાઇમથી કેટલું નુકસાન થયું ? જુઓ
ડિજિટલ પેમેન્ટ સેવાએ આપણા જીવનને સરળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. જો કે ક્યારેક આના કારણે લોકો છેતરપિંડીનો શિકાર પણ બને છે. ભારતમાં પણ આવી છેતરપિંડીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેના કારણે લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં આવી છેતરપિંડીમાં પાંચ ગણો વધારો થયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતમાં ડિજિટલ પેમેન્ટ ફ્રોડ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન પાછલા વર્ષની સરખામણીમાં પાંચ ગણો વધી ગયો છે, જેના કારણે લગભગ રૂ. 14.57 બિલિયન ($175 મિલિયન)નું નુકસાન થયું છે.
બીજી બાજુ દેશમાં યુપીઆઈ પર ટ્રાન્ઝેક્શનની વેલ્યૂ પાછલા 2 વર્ષમાં 137 ટકા વધીને 200 ટ્રિલિયન થઈ ગઈ છે. હજુ પણ આગામી દિવસોમાં આંકડો વધી શકે છે અને હવે તો ગામડાઓમાં પણ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.
ડિજિટલ પેમેન્ટ ફ્રોડમાં આ વધારો 2016માં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ લોન્ચ થયા બાદ થયો છે. ભારત ડિજિટલ પેમેન્ટ પાવરહાઉસ બની ગયું છે. તે વપરાશકર્તાઓને તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તરત જ નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.
આરબીઆઈએ નાણાકીય છેતરપિંડી વિશે વપરાશકર્તાઓને જાગૃત કરવા માટે ઘણા હાઇ-પ્રોફાઇલ ઝુંબેશ શરૂ કર્યા છે. આમાં જાહેરાતોનો પણ સમાવેશ થાય છે. જ્યાં બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન યૂઝર્સને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતી વખતે જોખમો વિશે સાવધાન રહેવાનું કહે છે. કાર્ડ અને ઈન્ટરનેટ ટ્રાન્ઝેક્શન સહિત ડિજિટલ પેમેન્ટ કુલ છેતરપિંડીની રકમના 10.4 ટકા હતા. નાણાકીય વર્ષ 2023 માં તે 1.1% હતો.