ઇન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેરમાં પ્રથમ વખત રેલવેનાં તમામ વિભાગ ભાગ લેશે
રેલ્વે માટે 3000 ચોરસ મીટરનો અલગ ડોમ:લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયાસોના પરીણામે સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે ઘર આંગણે રેલવે સાથે વ્યવસાયિક તક ઉભી થશે
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીલ ફેર-૨૦૨૫ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ભારતીય રેલવે સાથે ધંધો કરવાની અને વધારવાની ઉજળી તક ઘર આંગણે ઉપલબ્ધ બનશે. ફેરમાં ભારતીય રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના
અલાયદા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રેલવેના તમામ વિભાગ ભાગ લેશે. ગુજરાતના એકઝીબીશનના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના તમામ વિભાગ ભાગ લઈ રહ્યા છે અહીં તેમના દ્વારા વેન્ડર રજીસ્ટ્રેશન સહિતની કામગીરી માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા અને એકસ્પોના ચેરમેન શગણેશભાઈ ઠુંમરએ જણાવ્યું હતું.

એક્ઝીબીશનના મુખ્ય આયોજક હંસરાજભાઈ ગજેરા, ચેરમેન ગણેશભાઈ ઠુંમરની આગેવાનીમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિઓએ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી ભારતીય રેલવે માટે જરૂરી વિવિધ વસ્તુનું ઉત્પાદન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સારી રીતે કરી શકે છે અને સારી કવોલીટી સાથે સમયસર અને વ્યાજબી ભાવે માલ સપ્લાય કરવા સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સક્ષમ છે એ વાત મંત્રીને સમજાવવામાં તેઓ સફળ થયા હતાં.
રેલવેના વિવિધ વિભાગો જેવા કે ઉત્તર રેલવે, દક્ષીણ રેલવે, પૂર્વ રેલવે, પશ્ચીમ રેલવે, મધ્ય રેલવે, કોંકણ રેલવે, મેટ્રો રેલવે વગેરે એક્ઝીબીશનમાં ઉપસ્થિત રહી પોતાની જરૂરીયાતની પ્રોડક્ટનું પ્રદર્શન કરશે. ભારતીય રેલવેને દરેક પ્રકારના કાસ્ટીંગ્સ અને ફોજીંગ્સ, ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ, ટુલીંગ, હાર્ડવેર, કીચન વેર-કટલેરી, ફેબ્રીકેશન, બેરીંગ, ઈલેક્ટ્રીક મોટર પંપ અને વાલ્વસ, મશીનીંગ પાર્ટસ, ઈલેક્ટ્રીકલ્સમાં કેબલ, સ્વીચીસ, પેનલ બોર્ડ વગેરે, અલહોલ્ટ્રી, ફૂડ રીલેટેડ આઈટેમ્સ, પ્લાસ્ટીક પ્રોડકટસ, પાઈપ્સ અને ફીટીંગ્સ, બાથરૂમ ફીટીંગ્સ, લેમીનેટસ, ટ્રાન્સફોર્મર, બ્રાસપાર્ટસ, સીરામીક્સ, સેનેટરીવેર, એલીવેટર મશીન્સ સહિત અનેક નાની મોટી પ્રોડક્ટની જરૂરીયાત હોય છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહો મોટા ભાગની પ્રોડકટ સારી કવોલીટીમાં સપ્લાય કરવા સક્ષમ છે.
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા તા. ૨ થી ૫ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ છે તેમાં ડાયરેક્ટર જનરલ રેલવે બોર્ડ, જોઈન્ટ ડિરેક્ટર નેશનલ રેલ મ્યુઝીયમ ખાસ ઉપસ્થિત રહેશે.
આઈ.આઈ.એફ.-૨૦૨૫ના આયોજન માટે લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા, ચેરમેન ગણેશભાઈ ઠુંમર, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના મહામંત્રી જયભાઈ માવાણીની આગેવાનીમાં ટીમ કાર્યરત છે.
ફોટોલાઈન: લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા અને ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫ના ચેરમેન ગણેશભાઈ ઠુંમર તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી સૌરાષ્ટ્રના ઉદ્યોગગૃહો રેલવે ની વિવિધ જરૂરીયાતની પ્રોડક્ટસ પૂરી પાડવા સક્ષમ હોવા વિશે ચર્ચા કરી ત્યારની તસ્વીર..