ATMમાંથી આપણા પૈસા ઉપાડવા પણ મોંઘા પડશે : ચાર્જમાં થઈ શકે છે વધારો
નોટબંધી બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઝડપથી વધારો થયો છે પરંતુ હજુ પણ ઘણા કામ માટે રોકડની જરૂર છે. જો તમે પણ વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે છે. આગલી વખતે જ્યારે તમે એટીએમમાંથી નાણાં ઉપાડવા જશો, ત્યારે શક્ય છે કે તમારે ફી તરીકે વધુ પૈસા ચૂકવવા પડે. દેશના એટીએમ ઓપરેટરો રોકડ ઉપાડવા માટે ઈન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે. તેઓએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો છે અને આ ચાર્જ વધારવાની અપીલ કરી છે. અત્યાર સુધી એટીએમમાંથી પૈસા ઉપાડવાની ફી 15-17 રૂપિયા હતી, પરંતુ તે વધીને 23 રૂપિયા થઈ શકે છે.
કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી વધારીને રૂ. 23 કરવાની હિમાયત કરી રહી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, તેઓ તેમના બિઝનેસને સરળતાથી ચાલવા માટે વધુ ભંડોળ એકત્ર કરવા માટે આવી માંગ કરી રહ્યા છે.
ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટેન્લી જોન્સને જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ઇન્ટરચેન્જ રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “અમે આ અંગે આરબીઆઈ સાથે વાત કરી રહ્યા છીએ, અને એવું લાગે છે કે સેન્ટ્રલ બેંક અમારી વાતને ધ્યાનમાં લઈ રહી છે.
આવી ફી ક્યાં વસૂલવામાં આવે છે?
આ એક ફી છે જે કાર્ડ જારી કરનાર બેંક દ્વારા ચૂકવવાની હોય છે. આ ફી બેંકને જાય છે જેના એટીએમમાંથી રોકડ ઉપાડવામાં આવે છે. ગ્રાહકો પાસેથી લેવામાં આવતી ફી 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી હતી.
અત્યારે દેશની મોટી બેંકો છ શહેરોમાં તેમના બચત ખાતાના ગ્રાહકોને દર મહિને ઓછામાં ઓછા 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપી રહી છે. આ શહેરોમાં બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. અન્ય બેંકોના એટીએમ પર દર મહિને ત્રણ વ્યવહારો મફત છે.