શું વાયરસ હંમેશા જીવંત રહે છે? 2 વર્ષ બાદ અચાનક શા માટે કોરોનાએ કર્યું કમબેક, જાણો કેસ વધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભયાનકતા ફેલાવી હતી. આ મહામારીને લીધે અત્યારસુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ભારતમાં અત્યારસુધીમાં કોવિડ-19ના 4 નવા સબ-વેરિયન્ટ (પેટા પ્રકારો) મળ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, એમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સબ-વેરિયન્ટનો સમાવેશ થાય છે. ત્યારે વિચારવા જેવી બાબત તો એ છે કે વાયરસ ક્યારેય મરે છે કે નહી? બે વર્ષ બાદ કોરોનાના કેસમાં ઉછાળો થઈ રહ્યો છે. વેરિયન્ટ બદલીને કોરોના આવી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ વાયરસ વિશે વૈજ્ઞાનિક કારણ સાથે.

શું વાયરસ હંમેશા જીવંત રહે છે?
વાયરસ જીવંત નથી પરંતુ તેઓ મનુષ્યો, પ્રાણીઓ અથવા છોડના કોષોમાં રહીને તેમની સંખ્યા વધારે છે. જો વાયરસને કોઈ હોસ્ટ ન મળે, તો તે નિષ્ક્રિય થઈ શકે છે. પરંતુ કેટલાક વાયરસ, જેમ કે કોરોના, પર્યાવરણમાં થોડા સમય માટે ટકી શકે છે. ઉપરાંત, જો તેઓ મનુષ્યોમાં ફેલાતા રહે છે, તો તેઓ સમાપ્ત થતા નથી. આ રીતે વાયરસ જીવંત રહી શકે છે અથવા તો કહી શકાય કે વાયરસ આ રીતે ક્યારેય મરતા નથી કારણ કે તેઓ કોઈને કોઈ એવો અંશ ગોતી લે છે કે જેમાં તેઓ જીવંત રહી શકે છે અને તેમની સંખ્યા વધારે છે.
કોરોના કેમ પાછો ફરી રહ્યો છે?
છેલ્લા કેટલાક સમયથી, ભારત, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં કોવિડ-19 ના કેસ ફરી વધી રહ્યા છે. આ પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે.

વાયરસમાં ફેરફાર
સમય જતાં કોરોના વાયરસ બદલાતો રહે છે. તે પરિવર્તન દ્વારા નવા સ્વરૂપો બનાવે છે. નવા પ્રકારો, જેમ કે NB.1.8.1 અને LF.7 જૂની રસીઓની અસર ઘટાડી શકે છે. JN.1 પ્રકાર ભારતમાં સૌથી વધુ જોવા મળ્યો છે, જે 53% કેસોમાં જોવા મળ્યો હતો.
રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો : બૂસ્ટર ડોઝ લેતા નથી
જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે વેક્સિન લોકોને આપવામાં આવી હતી જેમાં બુસ્ટર ડોઝનો પણ સમાવેશ થાય છે. સમય જતાં વાયરસ સ્વરૂપ બદલી શકે છે અને વધુ મજબૂત બની શકે છે તો રસી અથવા અગાઉના ચેપથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ સમય જતાં નબળી પડી શકે છે. ખાસ કરીને વૃદ્ધોમાં, જેઓ બૂસ્ટર ડોઝ લેતા નથી, વાયરસ સામે લડવાની ક્ષમતા ઘટે છે. સિંગાપોરમાં આરોગ્ય અધિકારીઓ કહે છે કે ઓછા બૂસ્ટર ડોઝને કારણે કેસ વધી રહ્યા છે.
લોકોની બેદરકારી વાયરસને ફરીથી ફેલાવવાની આપે છે તક
લોકોની આળસ, લોકોની બેદરકારી ક્યાંક ને ક્યાંક વાયરસને ફેલાવવામાં મદદરૂપ થાય છે. જ્યારે કેસ ઓછા હોય છે, ત્યારે લોકો માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર જેવા નિયમો ભૂલી જાય છે. આ વાયરસને ફરીથી ફેલાવવાની તક આપે છે. તે દિલ્હી અને મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરોમાં ઝડપથી ફેલાય છે.

હવામાન અને મુસાફરી
ઠંડી હવામાન અથવા વરસાદ વાયરસને ફેલાવવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, જ્યારે લોકો વધુ મુસાફરી કરે છે, જેમ કે રજાઓ દરમિયાન, વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સિંગાપોરમાં, ચીની નવા વર્ષ દરમિયાન મુસાફરીમાં વધારો થવાને કારણે કેસ વધ્યા.
કોવિડના નવા વેરિયન્ટથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ?
- વારંવાર સાબુથી હાથ ધોવા અથવા આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- ભીડવાળી જગ્યાએ અથવા જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય ન હોય ત્યાં હંમેશાં માસ્ક પહેરો.
- જે લોકોમાં બીમારીનાં લક્ષણો દેખાતાં હોય તેમનાથી યોગ્ય અંતર જાળવો.
- ઘર અથવા કાર્યસ્થળે વારંવાર સ્પર્શ થતી વસ્તુઓને નિયમિતપણે સાફ અને સેનિટાઇઝ કરો.
- ઉધરસ કે છીંક ખાતી વખતે નાક અને મોંને ઢાંકો.
- તમારા આહારમાં તાજા મોસમી ફળો અને લીલી શાકભાજીનો સમાવેશ કરો.
- દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું અને પૂરતી ઊંઘ લો, જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે.