જોધપુરમાં ચકચારી ઘટના : મહિલાની લાશના છ ટુકડા કરી ઘરમાં દફનાવી દીધી, જાણો શું છે સમગ્ર મામલો
રાજસ્થાનના જોધપુર શહેરમાં બે દિવસથી લાપતા બનેલી 50 વર્ષની એક મહિલાની છ કટકા કરાયેલી લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ જોધપુરમાં બ્યુટી પાર્લર ચલાવતા 50 વર્ષના અનિતા ચૌધરી મંગળવારે બપોરે 2:30 વાગ્યે પાર્લર બંધ કરી ઘરે આવવા નીકળ્યા બાદ લાપતા બની ગયા હતા. તેમના પતિ મનમોહન ચૌધરીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને અનિતા ચૌધરીના મોબાઈલ ના લોકેશન તેમજ કોલ રેકોર્ડિંગના આધારે ગુલ મોહમ્મદ નામનો શખ્સ શંકાના દાયરામાં આવી ગયો હતો. પોલીસે જ્યારે તેના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે નાસી છૂટ્યો હતો. પોલીસે કરેલી પૂછપરછમાં તેની પત્ની ભાંગી પડી હતી અને ગુલ મોહમ્મદે હત્યા કર્યા બાદ લાશના કટકા કરી ઘરની પાછળ દાટી દીધા હોવાનું કબૂલ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ભોગ બનનાર અનિતા ચૌધરી અને ગુલમોહમ્મદ વચ્ચે મિત્રતાના સંબંધ હતા. અનિતા તેને પોતાનો ભાઈ માનતી હતી. પોલીસે લાશના કટકા કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી ભાગી છુટેલા હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉત્તર પ્રદેશમાં જમીન વિવાદના કારણે 17 વર્ષના તરુણની ગળું કાપી કરપીણ હત્યા
ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં કબીરુદ્દીન નામના ગામમાં બે જૂથો વચ્ચે 40 વર્ષ જૂના જમીન વિવાદમાં ઝઘડો થયા બાદ 17 વર્ષના એક તરુણની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવતા ભારે તંગદીલી ફેલાઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર એક જૂથના રમેશ અને લાલતા નામના બે શખ્સોએ તેમના સાગરીતો સાથે સામા પક્ષના રામજીત યાદવના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. એ સમયે બચવા માટે રામજીત યાદવ નો 17 વર્ષનો પુત્ર અનુરાગ ભાગી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તલવારના એક ઘા સાથે તેનું ગળું કાપી નાખ્યું હતું. આ કરપીણ હત્યા બાદ અનુરાગનું કપાયેલું ગળું ખોળામાં લઈ તેની માતા કલાકો સુધી બેઠા રહેતાં ભારે હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયા હતા. આ ઘટનાને પગલે ભારે તંગ દિલ્હી ફેલાતા નાનકડું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.