ભાજપના સાંસદ,પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આપી ધમકી, જુઓ
બાબરીની માફક જ કર્ણાટકની ભટકલ મસ્જિદ પણ તોડી પડશું
કર્ણાટકના ઉતર કન્નડના ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ બાબરી મસ્જિદની માફક જ કર્ણાટકના ભટકલમાં આવેલી ગોલ્ડન વિલેજ મસ્જિદ પણ તોડી પાડવામાં આવશે તેવું નિવેદન કરતાં ભારે વિવાદ થયો છે. આવા ભડકામણા ઉચ્ચારણો બદલ તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 135 અને 153 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અનંત કુમારે કુમતા માં ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું કે આ મસ્જિદ પહેલા મંદિર હતી અને હવે તેને તોડી ધ્વસ્ત કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના દરેક ગામડામાં, દરેક ખૂણામાં અપવિત્ર પ્રતીકો મોજુદ છે,તે બધાને ઉખાડી ને ફેંકી દેવામાં નહી આવે ત્યાં સુધી હિંદુ સમાજ શાંત નહીં બેસે.શરૂઆત રામ જન્મભૂમિથી થઈ ગઈ છે.તેમણે ઉમેર્યું કે આ બદલો,બદલો,બદલો છે. હિંદુ સમાજ કહે છે કે જો હજારો વર્ષનો બદલો ન લીધો તો એ હિંદુ લોહી નથી.ઉલ્લેખનીય છે કે અનંત કુમાર છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં નિષ્ક્રિય હતા.આ વખતે તેમને ટીકીટ ન મળવાનો ખતરો દેખાતા તેઓ કોમી ઉચ્ચારણો દ્વારા ફરી સક્રિય થવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
ઇન્દિરા – સંજયના મૃત્યુ ગૌ હત્યાના શ્રાપ ને લીધે થયા હતા!
અનંત કુમારે કહ્યું કે ઇન્દિરા અને સંજય ગાંધીને ગૌહત્યા બદલ શ્રાપ મળ્યા હતા.ઇન્દિરા વડાપ્રધાન હતા ત્યારે ગૌ હત્યા પ્રતિબંધ માટે મોટું આંદોલન થયું હતું.તેમાં સંતોના મૃત્યુ થયા,સંતોની હત્યા થઈ હતી.ઈન્દિરાની હાજરીમાં જ ગાયોની ગોળી મારીને કતલ કરવામાં આવી હતી.તે પછી કરપાત્રી મહારાજે શ્રાપ આપ્યો હતો અને પરિણામે ગોપષ્ટમીના દિવસે જ ઈન્દિરાની હત્યા થઈ હતી અને ગોપષ્ટમીના દિવસે જ સંજય ગાંધી વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા.તેમના આ દાવાને કારણે વિવાદ વધ્યો છે.
વિવાદો માટે પ્રખ્યાત
અનંત કુમાર વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રખ્યાત છે.2019માં તેઓ કેન્દ્રીય મંત્રી હતા ત્યારે રાહુલને બિનહિંદુ ગણાવ્યા હતા.તેમણે પૂછ્યું હતું કે જેના પિતા મુસ્લિમ અને માતા ખ્રિસ્તી હોય એ હિંદુ કેવી રીતે હોઈ શકે?2017માં તેમણે કહ્યું હતું કે ભાજપ ભારતનું બંધારણ બદલી નાખવા માટે સતા પર આવ્યો છે.ગાંધીજીની આઝાદીની ચળવળને નાટક ગણાવવા બદલ 2020માં ભાજપે તેમને નોટિસ પાઠવી હતી.