છ વર્ષ બાદ આજે મહંતસ્વામી મહારાજનું રાજકોટમાં આગમન
મુલાકાત દરમિયાન નિયત દિવસોમાં મંદિરના સભાગૃહમાં ભકતોને દર્શન આપશે
છ વર્ષ બાદ આજે તા.૧૪ને શુક્રવારના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે મહંતસ્વામી મહારાજનું આગમન થયું છે અને તા.૧૪થી ૧૦ જુલાઈ દરમિયાન બીએપીએસ મંદિરે મહંતસ્વામી સૌને દર્શન-આશીર્વાદથી લાભાન્વિત કરશે.
ઉલ્લેખનીય છે કે, મહંતસ્વામી મહારાજનો પૂર્વાશ્રમનો પરિવાર મૂળ આણંદનો, પરંતુ રોજગાર અર્થે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થાયી થયો હતો. તેમનો જન્મ તેમજ બાળપણ ત્યાં જ વિત્યું. અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણીને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી. આ દરમ્યાન તરુણાવસ્થાથી જ વેકેશનમાં પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગી મહારાજ સાથે વિચરણમાં જોડાતા. યોગીજી મહારાજના હસ્તે દિક્ષા ગ્રહણ કરી વિનુ ભગત તરીકે ઓળખાય હતા.
છેલ્લા ૮ વર્ષોથી તેઓ સંસ્થાના ગુરુપદે રહીને વિશ્વભરમાં વિચરણ કરીને સત્સંગને પોષિત કરી રહ્યા છે અને બી.એ.પી.એસ. સંસ્થાની ૧૬૨ જેટલી સામાજીક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સેવાપ્રવૃતિઓનું સફળ સંચાલન કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપેલા નિયમ ધર્મરૂપી પંચવર્તમાન એટલે કે નિર્માન, નિ:સ્નેહ, નિર્લોભ, નિ:સ્વાદ અને નિષ્કામ વર્તમાનના ઉત્તમ પાલક છે. બાયપાસ, બ્રેન સ્ટ્રોક વગેરેમાંથી તેઓ પસાર થઇ ચુક્યા છે.
વેરીકોઝ વેઈન્સ વગેરે અનેક હયાત તકલીફો હોવા છતાં ૯૧ વર્ષની ઉંમરે પણ દેશ – પરદેશ ફરીને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરીને લોકોમાં ધર્મભાવના જગાવવા અને પ્રેરિત કરવાનું અદભુત કાર્ય કરી રહ્યા છે. દર્શન આશીર્વાદ દ્વારા મહંતસ્વામી મહારાજનો આધ્યાત્મિક સ્પર્શ અનુભવવાનો અવસર રાજકોટવાસીઓને ઘર આંગણે સામેથી ચાલીને આવ્યો છે.
તેઓ પોતાની રાજકોટ મુલાકાત દરમિયાન સવારે તેમજ સાંજે ૬ થી ૮ દરમિયાન નિયત દિવસોમાં કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી સભાગૃહમાં દર્શન આપવા ઉપસ્થિત હોવાના છે ત્યારે સમગ્ર રાજકોટવાસી ભાવિકોને મંદિરનાં સંતો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.