દારૂની ‘મહેફિલ’માં ગાળાગાળી થતાં મીત્રએ જ મીત્રનું ઢીમ ઢાળ્યું’તું
રૈયાધારમાં ડ્રિમસિટી રેસિડેન્સી પાછળ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: મુળ રાધનપુર અને રાજકોટમાં રેંકડીમાં શાકભાજી વેચતો હત્યારે સકંજામાં
શહેરના રૈયાધાર વિસ્તારમાં ડ્રિમસિટી રેસિડેન્સી પાછળ અવાવરું જગ્યામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ યુવકને તેના મીત્રએ જ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હોવાનું ખુલતાં પોલીસે રાધનપુર જઈને આરોપીને સકંજામાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે મૃતક અને હત્યારો બન્ને મીત્ર હોય સાથે દારૂની મહેફિલ માંડીને બેઠા હતા જેમાં મૃતક ગાળાગાળી પર ઉતરી આવતાં રોષે ભરાઈને મીત્રએ જ પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસની પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રવિવારે ડ્રિમસિટી રેસિડેન્સી પાછળ આવેલા ખુલ્લા પટમાંથી વિનોદ દિનેશભાઈ વાઢિયાળા (ઉ.વ.૨૩) નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી સ્થાનિક યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-૨, ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ-અલગ ટીમે આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં જ આસપાસ આવેલા સીસીટીવી ચેક કરતાં તેમાં ઘટનાસ્થળ નજીકથી એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલો હોવાનું ધ્યાન પર આવતાં પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રીત કરી હતી.
અંતે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળતાં આ હત્યાને અંજામ મૃતક વિનોદના મીત્ર અજય ગોવિંદભાઈ નામના શખ્સે આપ્યો હોવાનું ખુલ્યું હતું. અજય અને મૃતક વિનોદ બન્ને રાધનપુરના જ હતા અને વર્ષોથી રાજકોટમાં શાકભાજીની રેંકડી તેમજ ભંગારની રેંકડી ચલાવતા હોય બન્ને વચ્ચે મીત્રતા બંધાઈ ગઈ હતી. મીત્રતાના દાવે બન્ને દારૂની મહેફિલ માંડીને બેઠા હતા બરાબર ત્યારે જ નશામાં વિનોદે અજયને મા-બહેન સામે ગાળો આપતાં અજય ઉશ્કેરાઈ ગયો હતો જેથી અજયે ત્યાં બાજુમાં જ પડેલા કાળમીંઢ પથ્થરના ઘા ઝીંકીને વિનોદને પતાવી દીધો હતો. આ પ્રકારનો ખુલાસો થતાં જ રાધનપુર પોલીસે અજયને દબોચી લીધો હતો જેનો કબજો લેવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાધનપુર દોડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.