જામકંડોરણામાં કૂવો ગાળવા પ્રશ્ને વકીલ પર હુમલો
વકીલની જમીનમાં ઘૂસણખોરી કરી બંને શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
જામકંડોરણામાં રહેતા વકીલે પોતાની જમીનમાં કૂવો ગાળતા હતા. ત્યારે પાડોશમાં રહેતા બંને ભાઈઓ તેની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો હતો. અને પતાવી દેવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના વકીલ કાંતીભાઈ ભગવાનજીભાઇ બાલધાએ પોલીસ ફરિયાદમાં આરોપીમાં કાનજી ધનાભાઇ કરમટા તથા વિરા ધનાભાઈ કરમટાનું નામ આપી જણાવ્યું હતું કે,તેની જમીનમાં જેસીબી તથા ટ્રેકટર દ્વારા કુવો ગાળવાનું કામ કરતા હોય ત્યારે આરોપી કાનજીએ પાઈપ સાથે આવી વકીલને ગાળો આપી જેસીબી તથા ટ્રેકટરના ડ્રાઇવરને કાઢી મૂક્યા હતા. બીજા દિવસે આરોપી વિરાએ લાકડી સાથે આવી જેસીબી તથા ટ્રેકટરના ડ્રાઇવરને કુવો ગાળવાની ના પાડી વકીલ સાથે બોલાચાલી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.જેથી આ મામલે જામકંડોરણા પોલીસે બન્ને ભાઈઓ સામે ગુન્હો દાખલ કરી તેને સકંજામાં લીધા છે.