રામનાથપરા પોલીસ લાઇનમાં બે પોલીસ પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું
પેટા : ઘર પાસે કચરો ફેકવાના મુદ્દે ઝગડો થયો : મહિલા કોન્સ્ટેબલે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી તો પોલીસમેનની માતાએ વળતી ફરિયાદ નોંધાવી
શહેરમાં રામનાથપરા પોલીસ લાઇનના ત્રણ માળીયા ક્વાટરમાં બે પોલીસ પરિવાર વચ્ચે ઘર પાસે કચરો ફેકવાના મુદ્દે ધિંગાણું ખેલાયું હતું. જેમાં પોલીસમેન અને તેની માતાએ મહિલા કોન્સ્ટેબલને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તેના ઘરના દરવાજામાં તલવારો મારતા તેણીએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસમેનની માતાએ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત મુજબ રામનાથપરામાં પોલીસ લાઈન ત્રણ માળિયામાં બ્લોક નં બી-5 માં ક્વાર્ટર નં-57 માં રહેતા અને યુનિવર્સીટી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હંસાબેન કાળાભાઇ દાફડા (ઉ.વ.32) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાજુના ક્વાર્ટર નંબર.59 માં રહેતા યશોદાબા જયેન્દ્રસિંહ ઝાલા અને તેનો પુત્ર મયુરસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના નામ આપતા જણાવ્યું હતું કે, તેમના ક્વાર્ટરના દરવાજા પાસે કેટલાક સમયથી બાજુના ક્વાર્ટરમાં રહેતા પડોશી પરિવાર કચરો ફેંકતા હોઈ આ બાબતે તેમના ઘરે સમજાવવા જતા યશોદાબા અને તેમનો પુત્ર મયુરસિંહ તેણી સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝગડો કરવા લાગ્યા હતા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઘરના દરવાજામાં તલવારના ઘા ઝીકી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદ નોંધાવી હતી.
અને સામા પક્ષે સુશીલાબા મદારસિંહ ઝાલા (ઉ.વ.65) એ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હંસાબેન દાફડા સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ 50 વર્ષથી રામનાથપરા પોલીસ લાઈનમાં રહે છે. પતિ પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેમના ચારેય દીકરા પણ પોલીસમાં જ ફરજ બજાવે છે. ગઈકાલે તે ઘરે હતી ત્યારે પડોશી હંસાબેન ઘરે આવી પૌત્રી યશોદાબાને કહેવા લાગ્યા હતા કે, તું કેમ અમારા ઘરના દરવાજા પાસે કચરો નાખે છે. તમે બહુ ચગી હાલ્યા છો, હવે તમે અહીં કેમ રહો છો, એ હુ જોવ છું, તમે મનમાની કરો છો તમારા વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી પૌત્રી સાથે ઝગડો કરી મારામારી કરી હતી. જેથી આ બંને મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
દુધસાગર રોડ પેર જૂની અદાવતનો ખાર રાખી ધંધાર્થી પર ચાર શખ્સોનો હુમલો
શહેરમાં દૂધસાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતા મચ્છીના ધંધાર્થી પર ચાર શખ્સોએ જૂની આદવતનો ખાર રાખી મારામારી કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.વિગતો મુજબ ભગવતી સોસાયટી શેરી નં.2માં દૂધસાગર રોડ પર રહેતા હાજીભાઈ મુસાભાઈ હાલા ઉ.વ.50 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તનજીમ, મજીદ, રહીમ જામનગરી તેમજ અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે તેઓ મચ્છીનો વેપાર કરે છે. તેઓ ઘરે હતા ત્યારે રહીમનો ફોન આવ્યો હતો અને કીધું હતું કે, તમે સીદીકી મસ્જીદ પાસે આવો જેથી તેઓ મસ્જીદ પાસે જતા ત્યાં રહીમ જામનગરી, મજીદ, તનજીમ સહીતના શખ્સો ઉભા હતા અને રહીમે કહ્યું હતું કે, એક વર્ષ પૂર્વે તમારા સંબંધી હારુનભાઈનું મકાન જે તમારી બાજુમાં હતુ તે મને પૂછયા વગર કેમ વેચાણ કરીને બીજાને આપી દીધું છે તેમ કહી ઝઘડો કરી ચારેય શખ્સો ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી થોરાળા પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.