રાતોરાત ખાંડમાં કિલોએ ૧૫થી ૧૭ અને ગોળમાં કિલોએ ૧૦થી ૧૫નો ભાવ વધારો: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું રસોડાનું બજેટ વેરવિખેર
`હાય રે મોંઘવારી તુજે ક્યોં મોત ન આઇ’. પાંચ દાયકા પહેલાં `રોટી કપડા ઔર મકાન’ નામની ફિલ્મ આવી હતી જેમાં મોંઘવારી પર એક સરસ ગીત રજૂ કર્યું હતું. `પહેલે મુઠ્ઠી ભર પૈસે જાતે થે ઔર થેલા ભર શકર આતે થે, અબ થેલે મે પૈસે જાતે હૈ ઔર મુઠ્ઠીમે શકર આતી હૈ…’ કંઈક આવું જ ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે. તંત્રના પાપે પેટ્રોલમાં ઈથેનોલની ભેળસેળના કારણે ખાંડનું ઉત્પાદન ઘટતા તહેવાર ટાણે ખાંડ, ગોળના ભાવ આસમાને પહોંચી જતાં હવે મીઠાઈ પણ કડવી બની ગઈ છે. ખાંડ, ગોળ, દૂધ, ડ્રાયફ્રુટના ભાવ વધારાના કારણે સાતમ-આઠમ પર મીઠાઈમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો ઝીંકી દેવાતા હવે લોકોના ભાણામાંથી મીઠાઈ ગાયબ થઈ ગઈ છે.
અમેરિકા-ઈરાન વચ્ચેના યુધ્ધના કારણે ક્રુડ તેલની તંગી જોવા મળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો જેના કારણે ભારતમાં રિટેલ અને જથ્થાબંધ મોંઘવારીમાં જબરો ઉછાળો જોવા મળ્યો છે.
પેટ્રોલની તંગીના કારણે તંત્રએ નવો અખતરો કર્યો હતો જેમાં પેટ્રોલમાં અગાઉ ૧૦ ટકા ઈથેનોલ ભેળવવામાં આવતો હતો તેના બદલે ૨૦ ટકા ઈથેનોલનું મિશ્રણ કરવાનું શરૂ કરી દેતા તેની સીધી અસર ખાંડ અને ગોળ પર જોવા મળી હતી.
પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધી જતાં ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે ત્યારે તહેવાર ટાણે એક જ દિવસમાં ખાંડમાં પ્રતિ કિલોએ રૂા.૧૫થી ૧૭નો ઉછાળો જોવા મળ્યો છે. ૫૫ રૂપિયે કિલો મળતી ખાંડ અત્યારે ૭૦ રૂપિયાથી ૭૨ રૂપિયે કિલોએ પહોંચી ગઈ છે.
ખાંડની સાથોસાથ ગોળના ભાવમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે જેમાં કોલ્હાપુરી ગોળ ૫૦ રૂપિયે કિલો મળતો હતો તેના ભાવ અત્યારે ૬૦ રૂપિયે પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જ્યારે દેશી ગોળ પ્રતિ કિલો ૬૫ રૂપિયે મળતો હતો તે ૮૦ રૂપિયે કિલો પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો: મોરબીમાં 10 PIની આંતરિક બદલી: SP જાડેજા એલસીબીમાં મુકાયા
દર વર્ષે ઓગસ્ટ મહિનામાં શેરડીની આવક બંધ થઈ જતાં ખાંડની અછત જોવા મળે છે. દર વર્ષે કેન્દ્ર સરકાર ઓગસ્ટથી નવેમ્બર મહિના વચ્ચે ખાંડની નિકાસ બંધ કરી દે છે અને ૭૦થી ૧૦૦ ટન ખાંડનો જથ્થો સ્ટોકમાં રાખતા હોય છે પરંતુ આ વર્ષે ઈથેનોલનો ઉપાડ વધી જતાં ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે જેનો ભાવ ભારતના પ્રજાજનો બન્યા છે.
તંત્રના પાપે ખાંડ-તેલના ભાવ તહેવાર પર સળગતા કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકી દઈ બહારના દેશોમાંથી ખાંડની આયાત કરવી પડે તેવા દિવસો સામે આવ્યા છે.
એટલું જ નહીં મોંઘવારી ફાટી ન નીકળે તે માટે મોટા સપ્લાયરોથી માંડીને નાના સ્ટોકિસ્ટો માટે ખાંડ અને ગોળ માટે સ્ટોક લિમિટ જાહેર કરવામાં આવી છે. મોંઘવારીએ માથું ઉંચક્યા બાદ રહી રહીને જાગેલી કેન્દ્ર સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે પરંતુ કેન્દ્ર સરકારના પગલાં પહેલાં જ ખાંડ-ગોળના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ખાંડ અને ગોળ સહિતની ખાદ્ય ચીજમાં થયેલા તોતીંગ ભાવ વધારાના કારણે તહેવાર પર લોકોના રસોડાના બજેટ વેરવિખેર થઈ ગયા છે.
ખાંડના ભાવ વધતા સંગ્રહખોરીમાં વધારો
આ વર્ષે શેરડીનું ઉત્પાદન સારૂ થયું છે પરંતુ ઈથેનોલને પેટ્રોલ સાથે મિક્સ કરવામાં આવતા ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટી ગયું છે જેના કારણે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે મોટાગજાના વેપારીઓથી માંડીને નાના સ્ટોકિસ્ટો દ્વારા ખાંડ અને ગોળનો સંગ્રહ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
ખાંડના ભાવમાં તોતીંગ ઉછાળાથી હવે ચાની ચૂસ્કી પણ મોંઘી
કેન્દ્ર સરકારના પાપે મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખાંડ, ગોળ, ડ્રાયફ્રુટ, દૂધ સહિતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાંડના ભાવમાં રાતોરાત કિલોએ રૂા.૧૫થી ૧૭નો ભાવ વધારો ઝીંકી દેતા હવે ચાના રસિયાઓને ચાની ચૂસ્કી પણ મોંઘી પડશે.
રાજકોટ શહેરમાં ખાંડના ભાવમાં આવેલા તોતીંગ વધારાથી તહેવાર ટાળે હવે ચાના ધંધાર્થીઓ પણ ચાના ભાવમાં વધારો કરવાના મૂડમાં આવી ગયા છે. અમુક ચાના ધંધાર્થીઓએ તો અડધી ચાના રૂા.૧૫ હતા તેમાં વધારો કરી રૂા.૧૮ કરી નાખ્યા છે. જ્યારે આવી ચાના રૂા.૨૫ હતા તેના બદલે રૂા.૩૦ લેવાનું શરૂ પણ કરી દીધું છે.
રાજકોટમાં મુખ્ય વ્યવસાય ચા અને ફાકીનો જોવા મળે છે ત્યારે ચાની હોટલ ધરાવતા વેપારીનો સંપર્ક કરતા તેણે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં દૂધના ભાવ વધ્યા બાદ હવે ખાંડ પણ મોંઘી થઈ જતાં ચાના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
ખાંડ-ગોળ-ડ્રાયફ્રુટના ભાવ વધતા તહેવાર ટાણે મીઠાઇ કડવી બની
મીઠાઇમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો: ગરીબ-મધ્યમ વર્ગની થાળીમાંથી મીઠાઇ ગાયબ
તંત્રના પાપે તહેવાર ટાણે જ ખાંડમાં કિલોએ ૧૫થી ૧૭ અને ગોળમાં કિલોએ ૧૦થી ૧૫ રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા તેની બજાર પર વિપરીત અસર જોવા મળી રહી છે. એક તરફ બહારના દેશોમાંથી આવતું ડ્રાયફ્રુટની શોર્ટ સપ્લાય અને સ્થાનિક બજારમાં ખાંડ-ગોળ મોંઘા થતાં સાતમ-આઠમના તહેવાર પર મીઠાઈ કડવી બની ગઈ છે. મોંઘવારીના કારણે મીઠાઈમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો ઝીંકી દેવાતા હવે ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી મીઠાઈ પણ ગાયબ થઈ ગઈ છે.
રાજકોટમાં મીઠાઈના સૌથી મોટા વેપારી શિવશક્તિવાળા જગદીશભાઈ સાથે `વોઈસ ઓફ ડે’એ વાતચીત કરતાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે પ્રથમ દૂધ મોંઘુ થયું ત્યારબાદ વિદેશથી આવતા ડ્રાયફ્રુટ બદામ, કાજુ, અંજીર, અખરોટ, કિસમીસની આવક ઘટતા તેના પણ ભાવ વધ્યા છે અને હવે ખાંડ અને ગોલના ભાવ વધતા વેપારીઓને ફરજિયાત મીઠાઈમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો કરવો પડ્યો છે.
| વસ્તુ | જૂનો ભાવ | નવો ભાવ |
| પેંડા | ૫૬૦ | ૬૦૦ |
| મિકસ મીઠાઈ | ૬૪૦ | ૬૮૦ |
| કાજુકતરી | ૧૦૮૦ | ૧૧૬૦ |
| ગુલાબ પાક | ૬૨૦ | ૬૬૦ |
| અંજીર પાક | ૬૨૦ | ૬૬૦ |
| બરફી | ૬૨૦ | ૬૬૦ |
ઇથેનોલના કારણે ગોળ-ખાંડના ભાવ વધ્યા હોવાનો સરકારનો ઇનકાર
સાતમ-આઠમના તહેવાર ટાણે જીવન જરૂરી ચીજવસ્તુ ગોળ અને ખાંડના ભાવમાં તોતીંગ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ કરવાનું પ્રમાણ ૧૦ ટકાથી વધારી ૨૦ ટકા કરી દીધું છે જેના કારણે ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે પરંતુ કેન્દ્ર સરકારે આ વાતનો ઈનકાર કરતા નિવેદન આપ્યું છે કે, ઈથેનોલના કારણે ગોળ-ખાંડના ભાવ વધ્યા નથી પરંતુ આ વર્ષે શેરડીનું વાવેતર મોડું થતાં ભાવ વધારો થયો હોવાનું જણાવ્યું છે.
