1 સપ્ટેમ્બર 2026થી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ થશે બંધ: હવે ફોનમાં જ થશે કામ
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત રાહતજનક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદેશ પ્રવાસ કરતા મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સિક્કો (સ્ટેમ્પ) મરાવવાની લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇમિગ્રેશને આગામી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસની ફિઝિકલ સ્ટેમ્પિંગ પ્રક્રિયા કાયમ માટે બંધ કરવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે.
નવી વ્યવસ્થા અને તેના મુખ્ય ફાયદા:
ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ માન્ય: હવે મુસાફરોએ કાગળના પ્રિન્ટેડ પાસ રાખવાની કે તેના પર સિક્કો મરાવવાની જરૂર રહેશે નહીં. તેઓ પોતાના સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે.
સમયનો બચાવ: અગાઉ દરેક બોર્ડિંગ પાસ પર મહોર લગાવવાની પ્રક્રિયાને કારણે કાઉન્ટર પર લાંબી લાખો કતારો અને સમય વેડફાતો હતો, જે હવે દૂર થશે.
ટેકનિકલ અડચણોથી મુક્તિ: ઘણીવાર સિક્કો બરાબર ન લાગવાને કારણે બોર્ડિંગ ગેટ પર સુરક્ષા તપાસ વખતે બારકોડ કે માહિતી વાંચવામાં મુશ્કેલી સર્જાતી હતી, જે આ નિર્ણયથી નહીં થાય.
આ પણ વાંચો: ચીનના ‘લાઈટનિંગ’ રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો
જો કોઈ પ્રિન્ટેડ પાસ રાખવા માંગે તો શું નિયમ છે?
સત્તાવાર સ્પષ્ટતા મુજબ, જે મુસાફરો હજુ પણ પેપર કે પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખવા ઈચ્છતા હોય તેઓ રાખી શકશે; પરંતુ ફેરફાર માત્ર એટલો જ રહેશે કે ઇમિગ્રેશન અધિકારીઓ હવે તે કાગળ પર કોઈ ફિઝિકલ સિક્કો લગાવશે નહીં.
પાસપોર્ટ સ્ટેમ્પિંગ નાબૂદ કરવાની પણ મોટી યોજના
હવાઈ મુસાફરીને સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવવા તરફ આ એક મોટું પગલું છે. આ પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાંથી બહાર નીકળતી વખતે અને પરત પ્રવેશતી વખતે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા પણ આગામી સમયમાં તબક્કાવાર નાબૂદ કરવાની મોટી યોજના પર કામ ચાલી રહ્યું છે.
સરકારનો આ પ્રગતિશીલ નિર્ણય એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરશે અને ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ ઝડપી તેમજ પારદર્શક બનાવશે.
