ભારત-પાક. વચ્ચે મેચ રમાવાની છે તો પછી સુનાવણી શા માટે કરવી ? સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં મુકાબલો થવાનો છે તેપહેલાં આ મેચ પર રોક લગાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેચ તો રમાવાની જ છે એટલા માટે આ મુદ્દે સુનાવણી કરવામાં નહીં આવે.

અરજદારોએ મેચ રમાય તે પહેલાં સુનાવણીની માંગ કરી હતી. અરજદારોના વકીલે દલીલ કરી કે ભલે આ કેસ નબળો હોય પરંતુ લિસ્ટ તો કરો પરંતુ કોર્ટે આવું કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. જનહિત અરજીમાં તર્ક અપાયો હતો કે 22 એપ્રિલ-2025ના જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ મેચ રમવી રાષ્ટ્રહિતની વિરુદ્ધમાં છે. પાકિસ્તાન સામે મેચ રમવી તેનો મતલબ સિક્યોરિટી ફોર્સ અને શહિદ થયેલા નિર્દોષ નાગરિકોના બલિદાનનું અપમાન ગણાશે. આ ભાવુક ક્ષણમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમત-ગમતની ભાવના બતાવવી ખોટી છે.
આ પણ વાંચો :રાજકોટનો મેળો પૂરો, બિલ બાકી ! લોકમેળા સમિતિને રૂ.35 લાખના નફાનો અંદાજ
ઉલ્લેખનીય છે કે જ્યારે એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયો હતો અને ભારત-પાકિસ્તાન મેચ વચ્ચેની તારીખ સામે આવી કે તુરંત જ દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકો હજુ પણ બીસીસીઆઈથી નારાજ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઉપર પૈસા પાછળ ભાગી રહ્યાનો આરોપ લગાવી રહ્યા છે અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાની બાબતને દેશનું અપમાન ગણાવી રહ્યા છે.
