રાજકોટ મનપાની ચૂંટણી : ત્રણેય પક્ષ માટે રાત થોડી અને વેશ ઝાઝા! ભાજપ માટે 2021ની જેમ સરળ રસ્તો નહીં હોય તે નક્કી
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે ચારથી પાંચ મહિનો સમય જ બાકી રહ્યો છે ત્યારે પાછલી ચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળવાની છે. ચૂંટણી માટે હવે બહુ ઓછા મહિના બાકી હોવાથી ત્રણેય પક્ષ અત્યારે રણનીતિ તો ઘડી રહ્યા છે પરંતુ સામે પડકારો પણ એટલા બધા હોય તે તમામ પડકારોને પાર કરી ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ પણ નિર્માણ પામી ગઈ હોવાનું રાજકારણ સાથે જોડાયેલા નિષ્ણાતો જણાવી રહ્યા છે. એક વાત તો નક્કી છે કે 2021માં ભાજપ માટે સત્તા હાંસલ કરવા માટે માખણ જેવો રસ્તો હતો તે આ વખતે જોવા મળશે નહીં કેમ કે આ વખતે આ રસ્તામાં એક નહીં બલ્કે વિવાદરૂપી અનેક ખાડા જોવા મળી રહ્યા હોય તેને બૂરવામાં સફળતા મળે છે કે પછી ખાડો વધુ ઉંડો બને છે તે આવનારો સમય જ બતાવશે.

આ વખતે ભાજપ માટે 2021ની જેમ સરળ રસ્તો નહીં હોય તે નક્કી
સૌથી પહેલાં ભાજપની વાત કરવામાં આવે તો 2021માં પક્ષે 18માંથી 17વોર્ડ ઉપર કબજો કરતા તેના 72માંથી 68 કોર્પોરેટર ચૂંટાયા હતા. જો કે થોડા મહિના અગાઉ બે કોર્પોરેટર સામે પક્ષે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દેતા હાલ આ સંખ્યા ૬૬ છે. આટલી મોટી સંખ્યા હોવા છતા ભાજપ માટે એક બાદ એક પડકારો આવી રહ્યા છે. સૌથી મોટો જો કોઈ પડકાર હોય તો તે ઘરના કજિયાનો છે. પક્ષમાં રોજબરોજ કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યા છે. જો આ કજિયા ચૂંટણી સુધી યથાવત રહ્યા તો પક્ષ માટે મોટી મુશ્કેલી ઉભી થશે તે નિશ્ચિત છે.
આ અંગે પક્ષના મોવડીઓને પૂછવામાં આવે ત્યારે તેમના દ્વારા ‘જેમ પરિવાર મોટો થતો જાય તેમ ઝઘડા પણ વધે’, ‘ઘર હોય ત્યાં વાસણ ખખડવાના જ છે’ તેવા જવાબ આપી વાત પૂર્ણ કરી દેવામાં આવે છે પરંતુ ‘અંદર’ કેવી સ્થિતિ છે તે સૌ કોઈ જાણે છે. આટલું ઓછું હોય તેમ શહેર ભાજપના પ્રમુખ તો ચૂંટાઈ ગયા છે પરંતુ અન્ય હોદ્દેદારોની પસંદગી થવામાં ઘોર વિલંબ થઈ રહ્યો હોય તે પણ પક્ષને નડતરરૂપ બની શકે છે કેમ કે નવા હોદ્દેદારો પસંદ થશે ત્યારે ચૂંટણી નજીક આવી ગઈ હશે. જો આમ ન થાય તો જૂના હોદ્દેદારો મહેનત તો કરશે પરંતુ પોતાની વિદાય નિશ્ચિત હોવાનું માની તેઓ પૂરું જોર લગાડશે કે કેમ તે પણ પ્રશ્ન પૂછી લેનારી વાત છે.

ભાજપ માટે અત્યારે સૌથી મોટો પડકાર મતદારો સુધી પહોંચવાનો ‘રસ્તો’ શોધવાનો છે. પક્ષના અનેક કોર્પોરેટરો પ્રજાથી વિખૂટા પડી ગયા હોવાનું એક નહીં બલ્કે અનેક વખત સામે આવી ચૂક્યું છે. પ્રમુખ તરીકે પસંદગી પામ્યા બાદ ડૉ.માધવ દવે વોર્ડયાત્રા કાઢવા માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ તેમને દરરોજ થઈ રહેલો ‘કકળાટ’ નડી રહ્યો હોય તેઓ
વિવાદ અને માથાકૂટ શાંત કરાવવામાંથી જ ઉંચા આવી રહ્યા ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. બીજી બાજુ રસ્તા પરના ખાડા, ટ્રાફિક સહિતની સમસ્યા લોકો સાથે સીધી રીતે જોડાયેલી હોય આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘણેખરે અંશે પક્ષ નિષ્ફળ નિવડયો હોવાથી કયા મોઢે પ્રજા પાસે જવું તેવો સવાલ પણ નેતાઓને સતાવી રહ્યો છે.
આ પણ વાંચો : બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી જાહેરાત
કોંગ્રેસ-આપ કેટલું લડી શકે છે તે પણ મહત્ત્વનું
કોંગ્રેસની સ્થિતિ પણ બહુ સારી નથી. પાછલી ચૂંટણીમાં માત્ર ચાર સીટ જીતીને સંતોષ માની લેવા માટે મજબૂર બન્યા બાદ ફરી બેઠું થવાની જાણે કે હિંમત જ ગુમાવી દીધી હોય તેવી રીતે પક્ષ જોઈએ તેવો આક્રમક બનીને રસ્તા પર ઉતરી રહ્યો નથી. અહીં પણ ભાજપની જ શહેર પ્રમુખ પસંદ થઈ ચૂક્યા છે પરંતુ અન્ય હોદ્દેદારોના હજુ કોઈ ઠેકાણા જ નથી. અરે, હોદ્દેદારો તો દૂરની વાત કોંગ્રેસ હજુ પોતાના વોર્ડપ્રમુખ પણ પસંદ કરી શકી નથી. મતદારો સુધી પહોંચવા માટે મજબૂત વોર્ડપ્રમુખ હોવા જરૂરી હોવા
છતાં પક્ષ તેમાં ઢીલ કરી રહ્યો હોય ચૂંટણીમાં ભોગવવું પડી શકે છે તેવો મત નિષ્ણાતોનો છે. આ ઉપરાંત શહેરીજનોને પડી રહેલી, નડી રહેલી સમસ્યાને મુદ્દો બનાવી હરિફ ભાજપની દુઃખતી નસ દબાવવાની તક પણ જતી કરવામાં આવી રહ્યાનું ચિત્ર અત્યારે ઉપસ્થિત થઈ રહ્યું છે.
આવું જ કંઈક આમ આદમી પાર્ટીનું છે. વિસાવદરમાં મળેલી જીતને ‘વિસાવદરવાળી’ નામ આપી શહેર આમ આદમી પાર્ટીના નેતા-નેતીઓ દર બે-ત્રણ દિવસે મહાપાલિકા કચેરીમાં નાના-મોટા મુદ્દે ‘હાજરી’ પૂરાવી આવેદન પાઠવવા સિવાય બીજી કશી કાર્યવાહી કરી રહી હોય તેવું લોકોને લાગી રહ્યું નથી. સામે કોંગ્રેસ અને ભાજપ જેવા હરિફ હોય તો તેને પાર પાડવા માટે કેટલી મહેનતની જરૂર પડે તે આમ આદમી પાર્ટીના નેતાઓ બરાબર જાણતા હશે આમ છતાં જોઈએ તેવી મહેનત દેખાઈ ન રહ્યાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.
આ વખતે મને ટિકિટ મળે તો મળે અનેક કોર્પોરેટરે ‘હાર’ માની લીધી!
આવનારી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના સિમ્બોલ પરથી ચૂંટણી લડવા માટે દર વખતની માફક આ વખતે પણ રાફડો ફાટી નીકળવાનો છે તે નક્કી છે પરંતુ સીટિંગ મતલબ કે હાલના અનેક કોર્પોરેટરોએ ‘હાર’ માની લીધી હોય તેવી રીતે અત્યારથી કહેવાનું શરૂ કરી દીધું છે કે આ વખતે મને ટિકિટ મળે તો મળે…! જો કે આવું કહેવા પાછળ તેમની ‘ચાલ’ હોય તેવું પણ નિષ્ણાતો માની રહ્યા છે. સૌ કોઈ જાણે છે કે ભાજપમાં ચગે એ કપાયની માફક જો અત્યારથી પોતાના નામના ઢોલ પીટવા લાગે તો તેનું કપાવું નિશ્ચિત હોય અત્યારથી જ ફૂંકી ફૂંકીને છાશ પીવાનું મુનાસીબ માની રહ્યા છે.
કોંગ્રેસ-આપ માટે આ વખતે પણ મુરતિયા શોધવાનો પડકાર
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ વખતે પણ મુરતિયા મતલબ કે ભાજપના ઉમેદવારને હરાવી જીત હાંસલ કરે તેવા ઉમેદવાર શોધવાનો પડકાર રહેશે. ભાજપ સામે લોકોને રોષ ભલે હોય પરંતુ તેનો વિકલ્પ પણ ન હોવાથી મને-કમને મત તો ત્યાં જ પડતો હોવાથી એ મતને પોતાના તરફ ડાયવર્ટ કરી શકે તેવા ઉમેદવાર ઉતારવા માટે કોંગ્રેસ અને આપે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલે લેસન શરૂ કરવું પડશે અન્યથા માત્ર નામના ઉમેદવાર જ ઉતારવાથી જીત નહીં મળે તે પણ નિશ્ચિત છે.
